લગ્નનો લાડવો ન ખાઈ પસ્તાય છે સુષ્મિતા સેન
મુંબઈ, 23 ઑક્ટોબર : હિન્દીમાં એક કહેવત છે કે શાદી એક ઐસા લડ્ડૂ હૈ કિ જો ખાએ પછતાએ ઔર જો ન ખાએ પછતાએ. એટલે કે લગ્નનો લાડવો એવો હોય છે કે જે ખાય તે પસ્તાવે અને જે ન ખાય તેય પસ્તાવે. બૉલીવુડની 36 વર્ષીય ભૂતપૂર્વ મિસ વિશ્વ સુંદરી સુષ્મિતા સેનની એવી જ હાલત છે. ઘણાં વર્ષો પહેલાં બે છોકરીઓને દત્તક લઈ તેમણે પોતાનું જીવન એકાંકી કરી નાંખ્યું અને સાથે જ લોકોને એવું વિચારવાની તક આપી દીધી કે તેઓ ક્યારેય લગ્ન નહિં કરે, પણ પોતાના જીવનના 36 વર્ષ એકલા વિતાવ્યાં બાદ તેઓ એટલાં તન્હા થઈ ગયાં છે કે હવે તેઓ પણ લગ્નગ્રંથિથી જોડાવાં માંગે છે.
તાજેતરમાં જ સુષ્મિતાએ એક ફૅશન શો દરમિયાન લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી અને જણાવ્યું કે તેઓ બાળપણથી પોતાના માટે એક સુંદર ખ્રિસ્તી રિવાજ વાળા લગ્ન ઇચ્છતી હતાં. જોકે તેમના પિતા તેમના લગ્ન ભારતીય રિવાજ પ્રમાણે કરવા માંગે છે.
સુષ્મિતાએ જણાવ્યું કે હવે સમય પાકી ગયો છે કે જ્યારે તેઓ ગંભીરતાપૂર્વક લગ્ન અંગે વિચારતાં થયાં છે. જોકે લોકોનું તો એમ પણ માનવું છે કે આ વર્ષે ઘણી અભિનેત્રીઓ માતા બનવાના સમાચારે સુષ્મિતા પોતાની જાતને એકાંકી અનુભવી રહ્યાં છે અને કદાચ તેઓ પણ માતૃત્વ સુધ માણવા માંગે છે.
એમ પણ શક્ય છે કે સુષ્મિતા પોતાની બંને પુત્રીઓ રેની અને અલીશાને પિતાનું નામ અને પ્રેમ આપવા માંગતાં હોય. તેથી જ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય. એમ પણ સુષ્મિતા બાદ બૉલીવુડમાં પોતાનું કરિયર શરૂ કરવા આવ્યાં, ત્યારે ઘણી અભિનેત્રીઓ લગ્નગ્રંથિથી જોડાઈ ચુકી હતી. તેવામાં સુષ્મિતાએ એકાંકીપણું અનુભવવું સ્વાભાવિક છે. ખેર આપણે તો એટલી જ આશા સેવીએ કે સુષ્મિતાને વહેલામાં વહેલી તકે તેમના સપનાનો રાજકુમાર મળી જાય અને તેઓ ચોરીના ચાર ફેરા લઈ લે.