વિશ્વરૂપમ રિલીઝ થઈ તો ડૅમ 999 કેમ નહીં ?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : ડૅમ 999 ફિલ્મના દિગ્દર્શક સોહન રૉયે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમને તામિળનાડુ સરકારની સ્વીકૃતિ મળતાં ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેઓ કહે છે કે તેમની ફિલ્મ ડૅમ 999ને પણ રાજ્યમાં રિલીઝ કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ. તેઓ પણ ન્યાયના હકદાર છે.
નોંધનીય છે કે તામિળનાડુ સરકારે રાજ્યમાં કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે વિશ્વરૂપમ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે હવે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. રૉયે જણાવ્યું - હું કમલ માટે ખુશ છું, પરંતુ મારી કેમ અવગણના કરાઈ? મારી ફિલ્મ ડૅમ 999 બે વરસથી રિલીઝ માટે અટકેલી છે અને તામિળનાડુ સરકાર સતત આ બાબતને અવગણી રહી છે.
સોહન રૉયે પોતાના કરોડોના નુકસાનને ટાંકતા જણાવ્યું - હું કમલ હસનની ઇજ્જત કરુ છું, પરંતુ શું આપને નથી લાગતું કે હું પણ એક માણસ છું અને ન્યાયનો હકદાર છું? નવેમ્બર 2011માં દ્રવિડ મુનેત્ર કષગમ (ડીએમકે)ની ફરિયાદ બાદ રૉયની ફિલ્મ ડૅમ 999 તામિળનાડુ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાઈ હતી. ડીએમકે માને છે કે તામિળનાડુ તેમજ કેરળ વચ્ચે મુલ્લાપેરિયાર બંધ વિવાદ ઉપર ડૅમ 999 ફિલ્મ આધારિત છે. ફિલ્મ 84માં એકેડેમી ઍવૉર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં નૉમિનેટ થયા છતાં તામિળનાડુ સરકારે ફિલ્મ જોવા તેમજ પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કર્યો નથી.