નાના પડદે સાકાર થશે વિષ્ણુનો નવમો અવતાર!
મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૌદ્ધ ધર્મના પ્રણેતા ભગવાન બુદ્ધને હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો નવમો અવતાર કહેવામાં આવે છે અને તેમના દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર માટે કરવામાં આવેલ કઠોર તપસ્યા આજે પણ અનેક મુમુક્ષુઓ માટે પથ-દર્શક છે. ભગવાન વિષ્ણુના આ નવમા અવતાર આગામી રવિવારે નાના પડદે અવતરવા જઈ રહ્યાં છે.
હા જી, ભગવાન બુદ્ધ પર આધારિત શ્રેણી બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર શરૂ થવા જઈ રહી છે. મહત્વની બાબત એ છે કે આ સીરિયલ માટે ઝી ટીવીએ રામાયણનો સમય બદલ્યો છે. આ સીરિયલને મહાભારત અને આમિર ખાનના લોકપ્રિય શો સત્યમેવ જયતેનો ટાઇમ સ્લૉટ ફાળવવામાં આવ્યો છે.
બુદ્ધના નિર્માતા બી. કે. મોદી આ ટાઇમ સ્લૉટ ફાળવાતાં ખુશ છે. તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે બુદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત અને સત્યમેવ જયતેના ટાઇમે પ્રસારિત થશે. બુદ્ધની ઐતિહાસિક યાત્રા લોકો પોતાના પરિવાર સાથે જોઈ શકશે.
ધર્મેશ દિગ્દર્શિત ટેલીવિઝન સીરિયલ બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.