અલી અસગરે જણાવ્યું, ધ કપિલ શર્મા શો છોડવાનું સાચું કારણ
'ધ કપિલ શર્મા શો'માં નાનીના પાત્રમાં જોવા મળતાં અલી અસગરે આ શો છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું.
'ધ કપિલ શર્મા શો' અને તેના એક્ટર્સ ઘણા સમયથી ચર્ચામાં છે. કપિલ-સુનીલના ફ્લાઇટ વિવાદ બાદ સુનીલ ગ્રોવરની સાથે અલી અસગર, સુગંધા મિશ્રાએ પણ શો છોડી દીધો હતો, પરંતુ આમાંથી કોઇએ ક્યારેય પણ આ અંગે ખુલીને કશું કહ્યું નહોતું. આ કારણે માની લેવામાં આવ્યું હતું કે, કપિલ શર્માની બદ-મિજાજીને કારણે જ તેમણે પણ શો છોડ્યો છે. જો કે, 'ધ કપિલ શર્મા શો'માં નાનીના પાત્રમાં જોવા મળતાં અલી અસગરે હાલમાં જ આ શો છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું હતું.
અલી અસગરે શા માટે છોડયો શો?
અલી અસગર હોલિવૂડ ફિલ્મ Despicable Me 3ની સ્ક્રિનિંગ પર જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે બે કેરેક્ટરના અવાજ ડબ કર્યા છે. અહીં તેમણે 'ધ કપિલ શર્મા શો' અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની અને કપિલની વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હોવાને કારણે તેમણે શો છોડ્યો હતો.
અલી કપિલના શોને મિસ કરે છે
આઇએએનએસ સાથે વાત કરતાં અલીએ કહ્યું કે, મને ખરેખર કપિલનો શો યાદ આવે છે. પરંતુ અમુકવાર તમારે મન મારીને પણ આ પ્રકારના નિર્ણયો લેવા પડે છે. અમે ઘણા લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે. કપિલ અને તેની ટીમ સાથે મારે ક્રિએટિવ ડિફરન્સ આવી ગયા હતા, આથી મેં શો છોડવાનું નક્કી કર્યું.
કપિલ પાસેથી ઘણું શીખવા મળ્યું
"મને લાગવા માંડ્યું હતું કે, શોમાં મારું કેરેક્ટર એક જગ્યાએ બંધાઇ ગયું છે, એમાં કોઇ નવીનતા નહોતી. એમાં કોઇ જાતના ક્રિએટિવ ઇમ્પ્રૂવમેન્ટનો પણ સ્કોપ દેખાતો નહોતો. આથી ન ઇચ્છવા છતાં પણ મારે કપિલનો શો છોડવો પડ્યો. કપિલ પાસેથી મને ઘણું શીખવા મળ્યું, ખાસ કરીને કોમેડી ટાઇમિંગ."
કપિલ સાથે કોઇ મનદુઃખ નથી
જ્યારે અલીને પૂછવામાં આવ્યું કે, ફ્લાઇટમાં સુનીલ સાથે થયેલ લડાઇને કારણે શું એમના મનમાં કપિલ માટે કોઇ ફરિયાદ છે? તો સ્પષ્ટ શબ્દોમાં ના પાડતાં અલીએ કહ્યું કે, મારા મનમાં કપિલ માટે કોઇ ફરિયાદ કે ગુસ્સો નથી, અમારી વચ્ચે માત્ર પ્રોફેશનલ ક્રિએટિવ ડિફરન્સ હતા, જેને કારણે મેં શો છોડી દીધો.
નવા શો અંગે
અલીને જ્યારે તેના અને સુનીલના નવા શો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, નવા શોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ કંઇ નક્કી નથી. ઘણીવાર એવું થાય કે, બધી તૈયારીઓ થઇ ગઇ હોય, પરંતુ શૂટિંગના દિવસે કે ટેલિકાસ્ટના દિવસે અચાનક પરિવર્તન આવે. આશા છે કે, જુલાઇમાં કંઇક નવું શરૂ થશે.
સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ
સલમાન ખાને પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે સુનીલ ગ્રોવર, અલી અસગર અને સુગંધા મિશ્રા સાથે સ્પેશિયલ મહાએપિસોડ 'સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ' શૂટ કર્યો છે. આ અંગે અલીએ કહ્યું હતું કે, ટ્યૂબલાઇટના મહાએપિસોડનો ભાગ બનીને મને ખૂબ માનની લાગણી થઇ છે. અમે સલમાન સાથે 4 કલાક શૂટિંગ કર્યું અને સમય ક્યારે પસાર થઇ ગયો અમને ખબર જ ન પડી.