શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'દયાબેન'ને કેન્સર થયુ છે? ભાઈ મયૂર વાકાણીએ જણાવી સચ્ચાઈ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'દયાબેન' દિશા વાકાણીને ગળામાં કેન્સર હોવાની ચર્ચાએ હાલમાં જોર પકડ્યુ છે. જાણો ભાઈ મયૂર વાકાણીએ શું કહ્યુ.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'દયાબેન' દિશા વાકાણીને ગળામાં કેન્સર હોવાની ચર્ચાએ હાલમાં જોર પકડ્યુ છે. તારક મહેતા શોમાં અલગ-અલગ પ્રકારના અવાજો કાઢવાના કારણે જ દયાબેનને કેન્સર થયુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, હવે દયાબેનના ભાઈ મયૂર વાકાણી કે જે તારક મહેતા શોમાં સુંદરલાલની ભૂમિકા નિભાવે છે તેણે આ બધા મીડિયા રિપોર્ટસ વિશેની સચ્ચાઈ જણાવી છે.
દિશા વાકાણીની હેલ્થ વિશે ઉડી અફવા
દિશા વાકાણીએ આપેલા એક ઈન્ટરવ્યુના આધારે ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ગળાનુ કેન્સર હોવાનુ નિદાન થયુ છે. વર્ષ 2010માં દિશા વાકાણીએ એ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ - હું મારા પાત્ર દયાબેન માટે અલગ અવાજો કરુ છુ જેના કારણે મને ગળામાં થોડી સમસ્યા છે. ક્યારેક આ સમસ્યા વધુ થઈ જાય છે. હવે આ ઈન્ટરવ્યુના આધારે મીડિયા આને તેના ચાહકો માટે ચિંતાનો વિષય બનાવી રહ્યુ છે.
ભાઈ મયૂર વાકાણીએ જણાવી સચ્ચાઈ
મયૂર વાકાણીએ એ બધા મીડિયા રિપોર્ટસને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિશાને ગળાનુ કેન્સર છે. ઈટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યુ - આવી ઘણી બધી બાબતો બહાર આવે છે જેમાં કોઈ સત્ય હોતુ નથી. દિશા સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ છે. તેને કોઈ તકલીફ નથી. આજકાલ દરરોજ આપણને તેના વિશે પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે પરંતુ તેના ફેન્સે આમાંથી કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ.
સહ કલાકારોએ જણાવી દિશા વિશે સચ્ચાઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનુ પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ દિશાના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યુ- હું દિશાના સતત સંપર્કમાં છુ અને મને નથી લાગતુ કે તે સાચુ છે. આવુ કંઈક થયુ હોત તો મને ખબર પડી હોત. જેનિફરે કહ્યુ કે મે તેની સાથે ઓગસ્ટના અંતમાં જ વાત કરી હતી કારણ કે અમે બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ. અમે અમારી દીકરીઓ વિશે વાત કરી. તેમના ક્લાસ વિશે વાત કરી. દિશાના શબ્દો પરથી લાગતુ ન હતુ કે તેને કોઈ સમસ્યા છે. તે એકદમ ઠીક છે. આ બધી માત્ર અફવાઓ છે.
દિલીપ જોશીએ કર્યો ખુલાસો
દિશાના કો-સ્ટાર જેઠાલાલ, દિલીપ જોશી કહે છે કે દરેક વખતે કોઈ હાસ્યાસ્પદ સમાચાર ફેલાવવાની જરૂર નથી. દિલીપ જોશીએ કહ્યુ કે મને લાગે છે કે આવા સમાચારને પ્રોત્સાહન આપવાની કોઈ જરૂર નથી. હું એટલુ જ કહીશ કે આ બધી અફવા છે અને તેના પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. વાસ્તવમાં, દિશા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. તેમના ગયા પછી શોના નિર્માતા અસિત મોદીને દયાબેન માટે કોઈ ચહેરો મળ્યો નથી. વળી, ચાહકો પણ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.