નોટબંધીના 50 દિવસ, હાથમાં શું આવ્યું?
નોટબંધીના નિર્ણયના 50 દિવસ બાદ પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઇ, હજુ પણ લોકોની હેરાનગતિ ખાસ ઓછી થઇ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ રૂ. 500 અને 1000ની નોટો બેન કરવાની જાહેરાત કરી હતી, નોટબંધી જાહેર થયા બાદ તેમણે દેશની જનતા પાસે 50 દિવસ માંગ્યા હતા. હવે નોટબંધીના નિર્ણયને 50 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ સામાન્ય નથી થઇ. આ નોટબંધીનો નિર્ણય લેવા પાછળ મુખ્ય કારણ શું હતું અને હવે 50 દિવસ બાદ પરિસ્થિતિ કેવી છે, આવો જાણીએ.

નકલી નોટોનો ખાત્મો
બજારમાં ફરતી નકલી નોટોના ખાત્મા માટે નોટબંધીની કવાયત કરવામાં આવી હતી. બજારમાં મોટી સંખ્યામાં રૂ. 500 અને 1000ની નકલી નોટો ફરતી હતી અને કહેવાઇ રહ્યું હતું કે આ નિર્ણય બાદ તમામ નકલી નોટો બજારમાંથી ગાયબ થઇ જશે. પરંતુ કેટલાક અધિકારીઓ અનુસાર ટૂંક જ સમયમાં નકલી નોટોનું છાપકામ ફરીથી શરૂ થઇ જશે કે કદાચ પાકિસ્તાનમાં શરૂ થઇ પણ ગયું હોય.

આતંક અને ડ્રગ ઇન્ડસ્ટ્રીનો વિનાશ
આ નિર્ણય પાછળનું બીજું મોટું કારણ હતું કે, આતંકવાદીઓને જે આર્થિક મદદ મળતી હતી તે અટકે; પરંતુ વિશ્લેષણના આધારે જોઇએ તો દેશમાં જેહાદ વધુ ફૂલીફાલી રહ્યો છે. વળી, પાકિસ્તાનમાં બેસીને આતંકી સંગઠન ચલાવનારાઓ પર આ નિર્ણયની ખાસ અસર નથી થઇ. બીજી બાજુ ડ્રગ માફિયા આ નિર્ણયથી હેરાન-પરેશાન છે અને તેમને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. અધિકારીઓ અનુસાર નોટબંધીના નિર્ણય બાદ ડ્રગ્સની ખરીદી અને તસ્કરીના વેપાર પર ખાસી અસર થઇ છે.

કાળા નાણાં પર અસર
નોટબંધીના નિર્ણય બાદ કાળા નાણાં પર રોક લાગી છે કે નહીં એ અંગે અનેક મતભેદ જોવા મળ્યા છે. કાળું નાણું સંગ્રહીને બેઠેલા નાના વેપારીઓ તો અધિકારીઓની પકડમાં આવી ગયા છે, પરંતુ મોટા વેપારીઓ હજુ પકડાયાં નથી. આ પાછળનું મોટું કારણ એ છે કે, મોટા વેપારીઓ પોતાના બધા પૈસા કેશમાં નથી રાખતા, તેઓ પોતાના પૈસા વિદેશી બેંકોમાં મૂકે છે, આવા લોકો પર નોટબંધીના નિર્ણયની ખાસ અસર નથી થઇ. આઇએસઆઇના આસ્ટિસ્ટંટ પ્રોફેસર અભિરૂપ સરકારનું કહેવું છે કે જો તમારે કાળા નાણાં પર રોક લગાવવી હોય, તો તમારે એવા લોકો પર નજર રાખવી જોઇએ જેમની પાસે 100 કરોડથી વધુની હોય અને એમને પકડવા જોઇએ.

અર્થવ્યવસ્થા પર ખરાબ અસર
નોટબંધીના નિર્ણયની આપણી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઇ છે, 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લદાયા બાદ લોકોને ખરીદ-વેચાણમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. ટોટલ 86 ટકા 500 અને 1000ની નોટો હતી, એની સરખામણીએ નવી નોટો ખૂબ ધીમી ગતિએ લોકો સુધી પહોંચે છે. જેની ખરાબ અસર બજાર પર જોવા મળે છે. બજારમાંથી કુલ 15 લાખ કરોડ રૂપિયા પાછા લેવામાં આવ્યા છે અને ત્યાર બાદ હજુ સુધી માત્ર 6.5 લાખ કરોડ રૂપિયા જ લોકો સુધી પહોંચ્યા છે. આ બધાને કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઇ છે.

હજુ પણ એટીએમ કામ નથી કરતાં
નોટબંધીના નિર્ણય બાદ જે એટીએમ દ્વારા લોકો સુધી પર્યાપ્ત માત્રામાં પૈસા પહોંચાડવાના હતા, પરંતુ એટીએમમાં હજુ પણ પર્યાપ્ત માત્રમાં રોકડ નથી હોતી. દેશમાં 2 લાખ એટીએમ છે, જેમાંથી 60 ટકા એટીએમ જ કામ કરી રહ્યાં છે, એ સિવાયના કેટલાક એટીએમ હજુ પણ કેલિબ્રેટ કરવામાં નથી આવ્યા, તો અમુક એટીએમમાં પૈસા નથી. વિશેષજ્ઞો અનુસાર આ પરિસ્થિતિ સુધરતાં હજુ 1 કે 2 મહિનાનો સમય લાગી શકે છે.

ગ્રામીણ ભારતની હાલત ખરાબ
નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે, જેની અસર શહેરોમાં જોવા મળી રહી છે, પરંતુ ભારતના ગામડાઓમાં હજુ પણ હાલત ખરાબ છે. હજુ પણ મોટી માત્રામાં લોકો પાસે મોબાઇલ નથી. ઘણા ખરા લોકો પાસે તો બેંક ખાતું પણ નથી. આથી આવા લોકોને રોકડના મામલે ઘણી મુસીબત ભોગવવી પડે છે.

પગાર મેળવવામાં પણ અડચણ
નોટબંધીના નિર્ણય બાદ પહેલી વાર ડિસેમ્બરમાં પગાર ચૂકવવામાં આવ્યો, લોકોને પગાર તો મળ્યો, પરંતુ રોકડમાં ન મળ્યો. આપણા દેશમાં 5 કરોડ 60 લાખ કર્મચારીઓ ફેક્ટરીમાં કામ કરે છે. આમાંથી માત્ર 10 ટકા લોકોને જ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા સેલરી મળી, જ્યારે અન્ય લોકોને માત્ર તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો.













Click it and Unblock the Notifications
