ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં 10 હજાર પોલિસો રહેશે તૈનાત, જાણો શું છે તૈયારી
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર શહેર પોલીસની શું છે તૈયારી જાણો.
અમદાવાદઃ રાજ્યમાં એક તરફ જ્યાં કોરોના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યાં બીજી તરફ અમદાવાદીઓ ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને પોલિસ કમિશ્નર દ્વારા ઉત્તરાયણની ઉજવણી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે અને તેના કડક અમલ માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 11 ડીસીપી, 21 એસીપી, 83 પીઆઈ, 207 પીએસઆઈ સહિત 10 હજાર પોલિસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 108 માટે ઈમરજન્સી કેસો વધવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં 108 એમ્બ્યુલન્સને રોજના સરેરાશ 3111 જેટલા કૉલ મળતા હોય છે. પરંતુ ઉત્તરાયણના તહેવાર પર 3770 જેટલા એટલે કે 21 ટકા જેટલા કેસ વધવાનુ અનુમાન છે. વળી, વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના રોજ 13.60 ટકા જેટલા કેસ વધવાનુ અનુમાન છે. ઉત્તરાયણના તહેવાર પર પતંગની દોરીથી પક્ષીઓને ઈજાની ઘટનાઓ પણ બનતી હોય છે. જેના માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈનના કૉલમાં પણ વધારો થશે જેને લઈને તૈયારી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે 39 ટકા અને વાસી ઉત્તરાયણના દિવસે 23 ટકા જેટલા કેસો વધવાની સંભાવના છે.
108 ઈમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં પડી જવાના 151 જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડી જવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. આ દિવસે કેસો બમણા એટલે કે 302 થવાની સંભાવના છે. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે 246 જેટલા કેસો આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, શરીરમાં કોઈ પણ પ્રકારની ઈજા થવાના કેસો સામાન્ય દિવસોમાં 86 જેટલા નોંધાય છે જે ઉત્તરાયણના દિવસે 268 અને વાસી ઉત્તરાયણના દિવસે 171 આસપાસ નોંધાય તેવુ અનુમાન છે. રાજ્ય સરકાર ઉપરાંત 108 સત્તાવાળાઓએ પણ લોકોને રસ્તા પર પતંગ ન પકડવા માટે સૂચના આપી છે.