અમદાવાદમાં સગીર વયના બાળકોના 19 લગ્નો અટકાવાયા, પાંચ વર્ષમાં 61 કેસો આવ્યા સામે
બાળ લગ્નો અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેના માટે સરપ્રાઈઝ ચેકિંગ પણ થઈ રહ્યુ છે. અમદાવાદમાં બાળ લગ્ન અંગે લગ્ન પ્રતિબંધક કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમને મોટી સફળતા મળી છે.
અમદાવાદમાં યોજાયેલ સમૂહ લગ્નમાં લગ્ન પ્રતિબંધક કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં મોટી સંખ્યામાં બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા.

અમદાવાદના વટવા વિસ્તારમાં એક સમૂહ લગ્નમાંથી લગભગ 38 સગીરોને બચાવી લેવામાં આવ્યા હતા. 'પ્રયાસ' એનજીઓના એક સભ્યને આ સમૂહ લગ્નમાં નાની ઉંમરના 38 બાળકોના લગ્ન યોજાવાના હોવાની માહિતી મળી હતી.
શુક્રવારે જિલ્લા બાળ લગ્ન નિષેધ કચેરી અને સ્થાનિક પોલીસની મદદથી સ્વયંસેવકોએ આ લગ્નની તૈયારીઓ અટકાવી દીધી હતી. સમૂહ લગ્નમાં અમુક સગીર વયના બાળકોના લગ્ન થવાના હોવાની માહિતી મળી હતી.
તમને જણાવી દઈએ કે લગ્ન સ્થળ પર અધિકારીઓ દ્વારા લગ્ન કરનાર તમામ 72 વ્યક્તિઓના જન્મ પ્રમાણ પત્ર માંગવામાં આવ્યા. સમૂહ લગ્નમાં યોજાનાર 36 લગ્નમાંથી 19 લગ્નો ગેરકાયદે હતા. નોંધનીય છે કે ભારતમાં પુરુષો માટે લગ્ન માટેની ઉંમર 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ છે.
પ્રયાસ એનજીઓના પ્રોજેક્ટ કોઑર્ડિનેટર ઈન્દ્રજીતસિંહ ચૌહાણે કહ્યુ કે, 'અમારી ટીમે સમૂહ લગ્નમાં રજિસ્ટર થયેલા નામોની સત્યતા ચકાસી. જેમાં અમને જાણવા મળ્યુ કે સમૂહ લગ્નમાં લગ્ન કરી રહેલા 19 જોડા લગ્ન યોગ્ય ઉંમરના નહોતા.'
ઉલ્લેખનીય છે કે 31 માર્ચ, 2023ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ગુજરાતમાં 2017 અને 2021 વચ્ચે બાળ લગ્ન નિષેધ અધિનિયમ હેઠળ 61 કેસો સામે આવ્યા છે.
બાળ લગ્નના કેસો વર્ષ 2017માં છ અને 2018માં આઠ નોંધવામાં આવ્યા. 2019માં 20, જ્યારે 2020માં 15 અને 2021માં 12 આવા કેસો સામે આવ્યા.












Click it and Unblock the Notifications
