AAPનો આજે અમદાવાદમાં રોડ શો, કેજરીવાલ અને માને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને આપી શ્રદ્ધાંજલિ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનુ રણશિંગુ ફૂંકશે.
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનુ રણશિંગુ ફૂંકશે. બંને નેતાઓ આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સૌથી પહેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. અહીં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે હ્રદયકુંજની પણ મુલાકાત લીધી. આજે સાંજે તેઓ 4 વાગે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રીજ સુધી રોડ શો યોજવાના છે.
કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી આશ્રમની લીધી મુલાકાત
તમને જણાવી દઈએ કે ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ, 2 ડીસીબી અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને હ્રદયકુંજ નિહાળીને રેંટિયો પણ કાંત્યો હતો.
કેજરીવાલ અને ભગવંત માન ગઈ રાતે અમદાવાદ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ અને ભગવંત માન ગઈ રાતે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. એરપોર્ટથી તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પહોચ્યા હતા. આપના રોડ શોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા બેનરો અને હૉર્ડિંગ્ઝ લગાવવામાં આવ્યા હતા.
બેનરો ઉતારી લેવાતા આપના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિભાગ દ્વારા બેનરો ઉતારી લેવાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. ગઈ મોડી રાતે કૉર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો ઉતારીને ગાડીઓમાં ભરી લેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.