અમદાવાદ ફ્લાવર શોના સમયમાં મોટો ફેરફાર, હવે રાત્રે આટલા વાગ્યા સુધી માણી શકાશે નજારો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોને મળી રહેલા ભારે પ્રતિસાદને જોતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
હવે મુલાકાતીઓ માટે ફ્લાવર શોનો સમય લંબાવવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ શહેરીજનો આ સુંદર પ્રદર્શનની મજા માણી શકે. નવા નિયમો મુજબ, 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ રાત્રે 10:00 વાગ્યા સુધી ફ્લાવર શો નિહાળી શકશે, જે પહેલા વહેલો બંધ થતો હતો.

ટિકિટ બારીના સમયમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં મુલાકાતીઓ રાત્રે 9:00 વાગ્યા સુધી જ એન્ટ્રી ટિકિટ ખરીદી શકશે તેમ જણાવાયું છે. તમામ મુલાકાતીઓએ રાત્રે 10:00 વાગ્યા સુધીમાં પોતાની મુલાકાત પૂર્ણ કરી લેવાની રહેશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને ભીડ ન થાય.
રાત્રિના સમયે વધુ ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે રાત્રિના સમયની VIP ટિકિટનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, સવારના સમયે VIP ટિકિટની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે, જેનો સમય સવારે 7:00 થી 8:00 વાગ્યા સુધીનો રહેશે.
VIP ટિકિટ ધારકો સવારે 8:00 થી 9:00 વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ રીતે ફ્લાવર શોના વિવિધ આકર્ષણોની મુલાકાત લઈ શકશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો, દેશના સૈનિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રવેશ એકદમ મફત રાખવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 12 વર્ષથી ઉપરના તમામ મુલાકાતીઓ માટે એન્ટ્રી ટિકિટ લેવી ફરજિયાત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતાને આ નવા સમય અને વ્યવસ્થાની નોંધ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
રિવરફ્રન્ટ પર યોજાયેલા આ ભવ્ય શોમાં વિવિધ દેશી-વિદેશી ફૂલોની પ્રતિકૃતિઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.












Click it and Unblock the Notifications
