સિક્સલેન બનશે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે, સરકાર ખર્ચશે 3350 કરોડ
Ahmedabad-Rajkot National Highway: આજે વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી વિગતો આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂપિયા 3350 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કુલ 201.33 કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ 197 કિ.મી.માંથી 193 કિ.મી. એટલે કે 98 ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમા અંદાજે 30 થી 45 મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને 2.32 કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત 10 થી 15 ટકા સુધીની બચત થશે.

આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફલાયઓવર અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી 34 ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ 4 સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ 2019ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે 41 ટકાનો ઘટાડો થયો છે.
આ રસ્તા પર કુલ 34 બ્લેક સ્પોટ હતા, જે પૈકી હાલમાં કુલ 31 બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે, અને બાકી 3 જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
