અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને ગમે ત્યાં ખાવાનું નહીં આપી શકાય
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે કડક અને નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે.
આ નવી નીતિ અનુસાર, હવે શહેરીજનો ગલી કે રસ્તા પર ગમે ત્યાં કૂતરાઓને ખોરાક આપી શકશે નહીં. AMC દ્વારા આ માટે શહેરમાં ચોક્કસ ૧૨૬ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

રખડતા શ્વાનોને ભોજન આપવા માટે વોર્ડ દીઠ એક અથવા બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં એવા સ્મશાનગૃહોનો પણ સમાવેશ થાય છે જ્યાં કૂતરાઓની સંખ્યા વધુ જોવા મળે છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ, રસ્તા પર ખોરાક નાખવાથી થતી ગંદકી અટકાવવા આ નિર્ણય લેવાયો છે. દરેક ઝોનમાં લોકોની સુવિધા મુજબ આ સ્પોટ નક્કી કરાયા છે.
તંત્ર દ્વારા આ નક્કી કરાયેલા ૧૨૬ સ્થળો પર જાગૃતિ માટે પોસ્ટરો પણ લગાવવામાં આવશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર નિયત કરવામાં આવેલી જગ્યાએ જઈને જ ખોરાક આપે.
જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે અને જાહેર રસ્તા પર શ્વાનોને ભોજન કરાવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને AMC દ્વારા ભારે દંડ પણ વસૂલવામાં આવશે.
તંત્રનો ઉદ્દેશ્ય રખડતા શ્વાનના પ્રશ્નો ઉકેલવાની સાથે શહેરની સ્વચ્છતા જાળવવાનો પણ છે. આ નવી વ્યવસ્થાથી રસ્તા પર ભોજન નાખવાને કારણે થતી સમસ્યાઓમાં ઘટાડો થવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને આશા છે.












Click it and Unblock the Notifications
