હાર્દિક પટેલને મનાવવામાં લાગી કોંગ્રેસ, રાહુલ ગાંધીએ કરી વાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે.
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે. રિપોર્ટ મુજબ હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે અને તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસને હટાવી દીધુ છે ત્યારબાદથી જ તેમને મનાવવાની કવાયત શરુ થઈ ગઈ છે. આ દરમિયાન સૂત્રોની માનીએ તો હાર્દિકને મનાવવા માટે રાહુલ ગાંધીએ સંપર્ક કર્યો છે. પાર્ટી સૂત્રોએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ ખુદ હાર્દિક પટેલનો સંપર્ક કરીને કહ્યુ છે કે તે પાર્ટીમાં જ રહે. આ સાથે તેમણે પક્ષના ઈન્ચાર્જ અને અન્ય નેતાઓને પણ કહ્યુ છે કે હાર્દિક પટેલનો સંપર્ક કરે અને તેમની સાથે મતભેદને ખતમ કરવાની કોશિશ કરે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે પાર્ટીના નેતૃત્વએ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે. હાર્દિક પટેલ સાથે વાતચીતની માહિતી પ્રદેશ પ્રભારી રઘુ શર્મા જ આપી શકે છે. વાસ્તવમાં જે રીતે રાજ્યમાં હાર્દિક પટેલને પસંદગી આપવામાં આવી નથી તેનાથી હાર્દિક નારાજ છે અને તેમણે પોતાના ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધુ છે. તેમણે પાર્ટીના સિમ્બોલને પણ પોતાના પ્રોફાઈલ પિક્ચરમાંથી હટાવી લીધુ છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ કહ્યુ કે જો હાર્દિક પાર્ટીને છોડશે તો મોટુ નુકશાન થઈ શકે છે.
અટકળો લગાવવામાં આવી રહી છે કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે પરંતુ કોંગ્રેસના નેતા આને સતત ફગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાર્દિકનો આ રીતનો કોઈ પ્લાન નથી. જો કે, પાર્ટી એ માની રહી છે કે તે પ્રદેશ નેતૃત્વથી નારાજ છે. હાર્દિકે હાલમાં જ ભાજપ સરકારની પ્રશંસા કરી હતી અને આર્ટિકલ 370ને હટાવવા અને રામ મંદિર નિર્માણને લઈને સરકારની પ્રશંસા કરી હતી. તેમણે બાદમાં કહ્યુ હતુ કે તે પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પરંતુ રાજ્યના નેતૃત્વથી નારાજ છે. તેમણે કહ્યુ કે ચૂંટણી નજીક છે એવામાં ઈમાનદાર અને મજબૂત લોકોએ એકસાથે હોવુ જોઈએ, તેમને પદ આપવા જોઈએ.