અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, પશ્ચિમ વિસ્તારમાં સ્થિતિ વણસી, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા 86
શહેરમાં એક જ દિવસમાં કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
અમદાવાદઃ શહેરમાં એક જ દિવસમાં કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 1290 અને જિલ્લામાં 24 એમ કુલ મળીને 1314 કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રૉનના બે કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી પશ્ચિમ વિસ્તારમાં જ 900 જેટલા કેસો નોંધાયા હોવાનુ જાણવા મળ્યુ છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં હાલમાં કોરોનાના 73 દર્દી સારવાર હેઠળ છે. એસવીપી હૉસ્પિટલમાં કોરોનાના 15 અને ઓમિક્રૉનનાબે દર્દી સારવાર લઈ રહ્યા છે.

શહેરના બોપલ, સેટેલાઈટ, પાલડી, શેલા, નવરંગપુરા ઉપરાંત બોડકદેવ વૉર્ડમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. AMC દ્વારા આજે પણ નવા 21 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 86 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં 203 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. જેમાં રામોલમાં 28, બોપલના પલક એલિનામાં 20 મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે.
અમદાવાદના સેટેલાઈટના શ્યામ વૃંદ અપાર્ટમેન્ટમાં 4 મકાનમાં 19 વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝુરીયસમાં 4 મકાનમાં 21 વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં 8 મકાનમાં 13 વ્યક્તિ, શાહીબાગના શિલાલેખમાં 8 મકાનમાં 33 વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં 12 મકાનમાં 57 વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં 28 મકાનમાં 113 વ્યક્તિ, ઘોડાસરના મધુવન ફ્લેટમાં 16 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના પલક એલિનામાં 20 મકાનમાં 62 વ્યક્તિઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કુલ 3492 કેસ નોંધવામાં આવ્યા છે. સોમવારે શહેરમાં કોરોનાના કુલ 644 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થતા શહેરમાં નવા કુલ 1290 કેસ નોંધાતા સ્થિતિ વણસી હતી. મંગળવારે શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનુ મોત થયુ નથી. 61 દર્દી રિકવર થયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 24 કેસ નોંધાયા જ્યારે 11 દર્દી રિકવર થયા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 15થી 18 વર્ષની ઉંમરના 50164 બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. મધ્ય ઝોનમાં 4740, પૂર્વ ઝોનમાં 7615, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9106, ઉત્તર ઝોનમાં 9138, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 6644, દક્ષિણ ઝોનમાં 6840, પશ્ચિમ ઝોનમાં 6081 બાળકોને રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં અત્યાર સુધી ઓમિક્રૉનના કુલ 59 કેસ નોંધાયા છે. જેમાંથી 27 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
