અમદાવાદમાં કોરોના વકર્યો, 8391 નવા કેસ, 6 દર્દીના મોત
અમદાવાદમાં કોરોના વાયરસનુ સંક્રમણ વકરી રહ્યુ છે. કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનુ સંક્રમણ વકરી રહ્યુ છે. કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક દિવસમાં 8,391 કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 6 દર્દીના કોરોનાથી મોત થયા છે જ્યારે 3,911 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી મહિનામાં 54,376 કેસ આવ્યા અને કુલ 15 દર્દીના મોત થયા હતા. અમદાવાદમાં 19 જાન્યુઆરીના દિવસે 6 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો ત્યારબાદ કોરોના મૃત્યુઆંક વધીને 3427 સુધી પહોંચી ગયો છે.
અમદાવાદમાં બુધવારે 3832 દર્દી રિકવર થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બુધવારે શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપર 15થી 18 વર્ષની વયના 3899 બાળકોને રસી આપવામાં આવી હતી. 6827 લોકોને કોરોના વેક્સીનનો પહેલો અને 13407 લોકોને રસીના બીજા ડોઝ સાથે કુલ 26,408 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં હાલમાં કુલ 104 સક્રિય માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર અમલમાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બુધવારે માઈક્રોકન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવેલા સ્થળોમાં ઉત્તર ઝોનના બે, મધ્ય ઝોનના એક, દક્ષિણ ઝોનના પાંચ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના અને પૂર્વ ઝોનના અનુક્રમે ત્રણ-ત્રણ સ્થળ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના ચાર અને પશ્ચિમ ઝોનના એક સંક્રમિત સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં હાલમાં કોરોનાના 25 હજારથી પણ વધુ સક્રિય કેસ છે. શહેરની ખાનગી હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે 2744 બેડ રાખવામાં આવ્યા છે જેમાંથી 254 બેડનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે સાત દર્દી વેંટીલેટર પર સારવાર હેઠળ છે.