આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદમાંથી પસાર થશે વાવાઝોડુ 'તૌકતે', વાસણા બેરેજના દરવાજા ખોલાયા
વાવાઝોડા 'તૌકતે'એ દિશા બદલી છે અને તે અમદાવાદ તરફ આગળ વધી રહ્યુ છે.
અમદાવાદઃ વાવાઝોડા 'તૌકતે'એ દિશા બદલી છે અને તે અમદાવાદ તરફ આગળ વધી રહ્યુ છે. હાલમાં 7 કિમીની ઝડપે વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે. આગામી 2 થી 3 કલાકમાં વાવાઝોડુ અમદાવાદ શહેર તરફ આગળ વધી રહ્યુ છે. જેના પગલે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પવનની ગતિ ધીમે ધીમે વધશે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદમાં પવનની ગતિ 45-65ની રહેશે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાની અસર શરૂ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલુ બે માળનુ એક મકાન ધરાશાયી ગયુ છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાટમાળ ખસેડ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના વિરમગામ અને ધંધૂકામાં વધુ અસર વર્તાઈ શકવાની સંભાવના છે. હાલમાં વાવાઝોડુ બોટાદ પરથી પસાર થઈ રહ્યુ છે. પવનની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે.

સેનાની ત્રણેય પાંખ સ્ટેન્ડ બાય
અમદાવાદ જિલ્લામાં ગમે તે સમયે વાવાઝોડુ તૌકતે આવવાની સંભાવનાના પગલે વાવાઝોડા દરમિયાન જિલ્લામાં કોઈ પ્રકારના જાનમાલનુ નુકશાન ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-સુરત એરપોર્ટ અને બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી ટ્રેનો 21મી સુધી બંધ કરાઈ છે. સેનાની ત્રણેય પાંખ સ્ટેન્ડ બાયની સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફની 54 ટીમો તૈનાત છે.

ગુજરાતમાં જ્યાંથી પસાર થયુ ત્યાં તારાજી
ઉલ્લેખનીય છે કે વાવાઝોડુ 'તૌકતે' ગુજરાતમાં જ્યાંથી પસાર થયુ ત્યાં તારાજી સર્જી રહ્યુ છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર દેખાઈ છે. રાજકોટમાં આટકોટ, જસદણ સહિત અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં વીજળી ડુલ છે.












Click it and Unblock the Notifications
