જયરાજ સિંહ વિધિવત રીતે ભાજપમાં જોડાયા, પાટીલે ખેસ પહેરાવ્યો
જયરાજ સિંહ વિધિવત રીતે ભાજપમાં જોડાયા, પાટીલે ખેસ પહેરાવ્યો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરીથી એકવાર દલબદલ શરુ થઈ ગયુ છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રવકતા અને નેતા જયરાજસિંહ પરમારે આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં શામેલ થયા છે. જયરાજસિંહ પરમારે ગાંધીનગરમાં સીઆર પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં શામેલ થયા છે. જયરાજસિંહે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. તેઓ અડધો કિલોમીટર લાંબા કાફલા અને સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. તેમનુ કમલમની બહાર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યુ. 1500 જેટલા સમર્થકો કમલમની બહાર ભેગા થઈ ગયા હતા. સમર્થકોની સંખ્યા વધી જતા મેદાન નાનુ પડી ગયુ હતુ અને ખુરશીઓ પણ ખૂટી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે જયરાજસિંહે આજે સવારે પોતાના વતનમાં અજાય માતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા અને વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિદ્ધ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે પરિવારમાં વડીલોના આશીર્વાદ લીધા હતા. બાદમાં તેઓ પોતાના અમદાવાદના નિવાસસ્થાન સેન્ટોસા ગ્રીનલેન્ડ જવા નીકળ્યા હતા અને ત્યાંથી સોલા ઓવરબ્રીજ પાસેના બહુચરાજી માતાજીના દર્શન કરીને કમલમ જવા નીકળ્યા હતા.
ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યુ હતુ કે જયરાજસિંહ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. તેઓ પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનુ સ્વાગત કરીએ છીએ. અમારી પાર્ટીમાં પરિવારવાદ ચાલતો નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે લખ્યુ હતુ કે - મંગળવારના રોજ સવારે 11 વાગે શ્રીકમલમ ખાતે ભાજપમાં જોડાઈ રહ્યો છુ.