અમદાવાદ: હવે ટ્રાફીક સિગ્નલ પર ભિક્ષા નહી શિક્ષા ગ્રહણ કરશે બાળકો, સિગ્નલ સ્કુલની કરાઇ શરૂઆત
અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે ‘ભિક્ષા નહીં શિક્ષા’ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્
અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે 'ભિક્ષા નહીં શિક્ષા' પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો ચલાવવામાં આવશે. ત્યારે સિગ્નલ સ્કૂલ બસમાં વાઇફાઇ, એલઇડી ટીવી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા આપવામાં આવી છે. અહીં ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતાં બાળકોને ભણાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાંથી રૂ. 35 કરોડ ફાળવી અને 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં આવનાર છે. જેમાં કુલ 139 બાળકોને સ્કૂલના ક્લાસરૂમમાં જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવશે. રોડ પર ભિક્ષા માગતા બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવેલી બસમાં કેવી સુવિધાઓ અને કેવી રીતે બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે.
શહેરના અલગ અલગ ચાર રસ્તા પરના સિગ્નલ પરથી સવારે બાળકોને સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવા માટે બસમાં બેસાડવામાં આવશે. એક નક્કી કરેલી જગ્યા પર બસ ઊભી રાખી તેઓને અભ્યાસ કરવામાં આવશે. સવારે 10થી 1 વાગ્યા સુધી એમ ચાર કલાક શિક્ષણ આપવામાં આવશે. તૈયાર કરવામા આવેલી આ સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.
બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, પડદા, મિની પંખા, મનોરંજનના સાધનો, બારાખડી અને 1થી 10 આંકડાના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે. ખાનગી સ્કૂલના ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતા હોય તેવો કલાસરૂમ બસમાં તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.
ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતા વંચિત-દરિદ્ર બાળકો માટે "ભિક્ષા નહીં શિક્ષા"ના અભિગમ સાથે એક પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકાત ન રહે તેવા પ્રયાસ રાજ્ય સરકારે હાથ ધર્યા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 25, 2022
વિચરતી જાતિના તેમજ અગરિયાનાં બાળકો સુધી પણ શિક્ષણ પહોંચે એ માટે રાજ્ય સરકારે વ્યાપક આયોજન કર્યું છે. pic.twitter.com/1hW7FY5xr7
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં બાળકોને શિક્ષણરૂપી અમૃત આપીને તેમનું જીવન ઘડતર કરાશે. બાળકનો શાળામાં પ્રવેશ સમાજ માટે ઉત્સવનું વાતાવરણ બને એવી પહેલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં 2003માં શાળા પ્રવેશોત્સવથી ગુજરાતમાં થઈ હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા આ શિક્ષણ સેવાયજ્ઞની 17મી કડી આ વર્ષે 23, 24, અને 25 જૂન દરમિયાન રાજ્યભરમાં યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં શિક્ષણનો મજબૂત પાયો નખાયો એના ખૂબ સારાં પરિણામો જોવા મળી રહ્યાં છે.
આ વર્ષના પ્રવેશોત્સવની સફળતા અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રવેશોત્સવના બે દિવસમાં ધોરણ-1માં 3.83 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તથા 1.88 લાખથી વધુ કન્યાઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે 78,000 બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે, જે આનંદની વાત છે. 2003થી અત્યાર સુધી ઉજવાયેલા પ્રવેશોત્સવની સમગ્રતયા સફળતા અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લાં 20 વર્ષમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22%થી ઘટીને આજે 3.39% થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળતા ભિક્ષુક બાળકોને શાળાકીય શિક્ષણ અપાવવાના હેતુથી ગતવર્ષે ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો જે અંતર્ગત આવા બાળકોને શરૂઆતમાં બ્રીજ કોર્ષથી ભણાવવામાં આવે છે અને ત્યારબાદ નજીકની શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે.