ભાજપ કે આપ, કયા પક્ષમાં શામેલ થશે હાર્દિક પટેલ, આપ્યો આ જવાબ
શું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થવા જઈ રહ્યા છે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનુ એલાન કર્યુ તે બાદ રાજ્યનો રાજકીય પારો વધી ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસથી અલગ થવા સાથે કોંગ્રેસના મોટા નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસથી અલગ થયા બાદ હાર્દિક પટેલે કહ્યુ કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે એ પણ કહ્યુ કે આગામી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં એકતરફી હશે. એવામાં સવાલ એ ઉઠે છે કે શું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થવા જઈ રહ્યા છે. જ્યારે હાર્દિકને આ બાબતે પૂછવામાં આવ્યુ કે શું તમારી પાસે આનો પ્રસ્તાવ છે તો તેમણે કહ્યુ કે પ્રસ્તાવ અને સમજૂતી નબળા લોકો માટે હોય છે, મજબૂત લોકો પોતાની જગ્યા જાતે બનાવે છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી છે વિકલ્પ
જ્યારે હાર્દિકને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેમની પાસે ભાજપનો વિકલ્પ છે તો તેણે કહ્યુ કે કેમ ન હોવો જોઈએ? મારી પાસે આ વિકલ્પ છે. આ સાથે હાર્દિકે આમ આદમી પાર્ટીના પણ વખાણ કર્યા. તેણે કહ્યુ કે કોંગ્રેસ કરતા AAPની રાજકીય રણનીતિ સારી છે પરંતુ તેમણે કહ્યુ કે હું અત્યારે AAPમાં જોડાઈશ એવુ કહી શકતો નથી. પરંતુ હું ચોક્કસ કહી શકુ છુ કે કોંગ્રેસ રાજ્યમાં ક્યાંય નથી. હાર્દિકે કહ્યુ કે ગુજરાતની ચૂંટણી રસપ્રદ નહિ પરંતુ એકતરફી હશે પરંતુ હું આ ચૂંટણીમાં 2017 કરતા વધુ સારી ભૂમિકા ભજવીશ.
શું પાટીદારો સામેનો કેસ ભાજપમાં શામેલ થવામાં અડચણ
તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયો હતો. તેને પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો હતો. પરંતુ 18 મેના રોજ હાર્દિક પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. હાર્દિકને પૂછવામાં આવ્યુ હતુ કે જો તે ભાજપમાં જોડાશે તો શું પાટીદારો સામેના 200થી વધુ કેસ આ માર્ગમાં અડચણરૂપ બનશે. હાર્દિકે કહ્યુ કે આ કેસો તરત ખતમ નહિ થાય. કુલ 246 કેસ પેન્ડિંગ છે જેમાંથી 23 હાર્દિક વિરુદ્ધ છે. જેમાં તે આરોપી છે. બે કેસ રાજદ્રોહના છે.
અમે સરકાર સામે પ્રદર્શન કર્યુ
હાર્દિકે કહ્યુ કે જેઓ સત્તામાં હતા તેમની સામે અમે પ્રદર્શન કર્યુ. જે સત્તામાં હતા તેમણે અમારી વિરુદ્ધ કાર્યવાહી કરી. આ જ સરકારે 10 ટકા અનામત આપી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરી. હું કહુ છુ કે અમે સરકાર સાથે લડ્યા હતા અને સરકાર જ લોકોની માંગ પૂરી કરી શકે છે. 2013 અને 2017ની ચૂંટણીમાં લોકોએ જે ગુસ્સો જોયો હતો તે 2019ની લોકસભા ચૂંટણીમાં ગાયબ થઈ ગયો હતો કારણ કે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. તમને જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિકે રાજ્યભરમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે આંદોલન શરૂ કર્યુ હતુ.
ખુલીને વ્યક્ત કરી રાહુલ ગાંધીથી નારાજગી
હાર્દિક પટેલ નારાજ હોવાનુ પણ મનાય છે કે રાહુલ ગાંધી 10 મેના રોજ ગુજરાત આવ્યા ત્યારે તેમણે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વધુ મહત્વ આપ્યુ હતુ. આ અંગે જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે હું એકદમ નારાજ છુ, ગુસ્સો કેમ ના કરવો જોઈએ. હું 10 મહિના જેલમાં હતો, 6 મહિના ગુજરાતની બહાર, મારી સામે 32 કેસ છે. તમે જ્ઞાતિનુ રાજકારણ શરૂ કર્યુ. તમે 9 દિવસ સુધી જેલમાં રહેલા વ્યક્તિને મળવા પહોંચ્યા પણ તમે એ વ્યક્તિને મળ્યા નહોતા જેણે આટલું બધુ સહન કર્યુ.