બોમ્બની ધમકી બાદ કાલથી અમદાવાદ-ગાંધીનગરની શાળાઓ ફરી શરૂ થશે
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં છેલ્લા 24 કલાકથી બોમ્બ ધમકીનો ભય હવે સમાપ્ત થયો છે. પોલીસે હાથ ધરેલું સઘન સર્ચ ઓપરેશન પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે.

ગઈકાલે અમદાવાદ-ગાંધીનગરની 19 શાળાઓને અજાણ્યા સ્ત્રોત તરફથી બોમ્બની ધમકીના ઈમેઈલ મળ્યા હતા. આ ઘટના બાદ પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા તમામ શાળાઓમાં તાત્કાલિક અને ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી.
તપાસના અંતે પોલીસે સ્પષ્ટ કર્યું કે કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી. પ્રાથમિક તારણ મુજબ, આ મેઈલ માત્ર અફવા ફેલાવવાના હેતુથી કરાયા હતા. આથી આવતીકાલથી તમામ શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, વાલીઓએ ગભરાવાની જરૂર નથી.
પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. સાયબર ક્રાઈમ વિભાગ આ ઈમેઈલના સ્ત્રોત પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે, જેથી શિક્ષણકાર્યમાં ખલેલ ન પહોંચે.
સઘન ચેકિંગમાં મહાત્મા ગાંધી સ્કૂલ, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ, પ્રકાશ સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, મહારાજા અગ્રસેન સ્કૂલ, ઝાયડ્સ સ્કૂલ, D.A.V. સ્કૂલ, ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલનો સમાવેશ થયો હતો.
આ ઉપરાંત, નિર્માણ સ્કૂલ, D.P.S. સ્કૂલ, તુલીપ સ્કૂલ, G.I.I.S. સ્કૂલ, ડીવાઈન સ્કૂલ, જેમ્સ એન્ડ જેનેસીસ, આવિષ્કાર સ્કૂલ, ઝાયડ્સ સ્કૂલ (ગોધાવી) અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલ પણ ધમકી મેળવનાર શાળાઓમાં હતી.












Click it and Unblock the Notifications
