શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને તેની પત્ની રાજેશ્વરીબાના મોતને લઈને સવાલોની લાઈન લાગી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને તેમની પત્ની રાજેશ્વરીબાના મોતે અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.
પોલીસ હાલ આ હૃદયદ્રાવક ઘટના પાછળના સાચા કારણો શોધવા માટે સઘન તપાસ કરી રહી છે, જેમાં FSL રિપોર્ટ સૌથી મહત્વનો સાબિત થઈ શકે તેમ છે.

પ્રાથમિક વિગતો મુજબ, દંપતી મોડી રાત્રે જમીને ઘરે પરત ફર્યું હતું, જે બાદ બેડરૂમમાં શંકાસ્પદ સંજોગોમાં ગોળીબાર થતા બંનેના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે જો રિવોલ્વર સાફ કરતા અકસ્માતે ગોળી છૂટી હોય, તો તે સીધી પત્નીના માથામાં જ કઈ રીતે વાગી શકે?
ઘટના સમયે ટાવરના સીસીટીવી કેમેરા બંધ હોવાની વિગતે પોલીસની શંકા વધુ પ્રબળ બનાવી છે, જેના કારણે હવે ટેકનિકલ પુરાવાઓ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.
યશરાજસિંહના માતાના જણાવ્યા અનુસાર, પુત્રની લાઈસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માતે ગોળી છૂટી હતી, જેનાથી રાજેશ્વરીબાનું મોત થતા યશરાજે આઘાતમાં આપઘાત કર્યો હતો.
પોલીસ રેકોર્ડ મુજબ, યશરાજે રાત્રે 11:42 વાગ્યે એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ ડોક્ટરો પહોંચે તે પહેલા જ બંનેના જીવનનો કરુણ અંત આવી ચૂક્યો હતો.
ACP જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ ઘટના ઘરની ચાર દીવાલો વચ્ચે બની હોવાથી અમે હત્યા, આત્મહત્યા અને અકસ્માત એમ ત્રણેય એંગલથી તપાસ ચલાવી રહ્યા છીએ.
આ કેસમાં હવે બેલેસ્ટિક રિપોર્ટ અને ગનશોટ રેસિડ્યુ (GSR) ટેસ્ટ નિર્ણાયક બનશે, જે સ્પષ્ટ કરશે કે ગોળી કેટલા અંતરેથી અને કયા એંગલથી છોડવામાં આવી હતી.
માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતીના અચાનક મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
