અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લેઝર શો સહિતના કાર્યક્રમો યોજાશે, જાણો સંપૂર્ણ વિગત
Kankaria Carnival 2025: અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ગુજરાતના સૌથી મોટા ઉત્સવ 'કાંકરિયા કાર્નિવલ'નો આજથી રંગેચંગે પ્રારંભ થઈ રહ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે CM શહેરના વિકાસ માટે 350 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

વર્ષ 2008થી શરૂ થયેલી પરંપરા
વર્ષ 2008થી શરૂ થયેલો કાંકરિયા કાર્નિવલ આજે અમદાવાદની ઓળખ બની ગયો છે. આ વર્ષે પણ મુલાકાતીઓ માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. મિની વેકેશનના માહોલમાં દરરોજ અંદાજે 1 લાખથી વધુ સહેલાણીઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુલાકાતીઓ માટે વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે.
કલાકારોનો જમાવડો: ત્રણ અલગ-અલગ સ્ટેજ પર દરરોજ સાંજે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
- સ્પર્ધાઓ: મહિલાઓ માટે મહેંદી અને નેલ આર્ટ જેવી સ્પર્ધાઓનું વિશેષ આયોજન છે.
- ફિટનેસ: સવારના સમયે યોગા અને ઝુમ્બા સેશન્સ રાખવામાં આવ્યા છે.
- લેઝર શો અને લાઈટિંગ: આખું કાંકરિયા લેકફ્રન્ટ અદભૂત લાઈટિંગ અને ડેકોરેશનથી ઝગમગી ઉઠ્યું છે, સાથે જ રાત્રે લેઝર શો આકર્ષણનું કેન્દ્ર રહેશે.
ક્રાઉડ મેનેજમેન્ટ માટે પ્રથમવાર હાઈટેક સિસ્ટમ
ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે આ વર્ષે કોર્પોરેશન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.
- હાઈટેક કેમેરા: લેકફ્રન્ટની આસપાસ 34 અત્યાધુનિક હાઈટેક કેમેરા લગાવવામાં આવ્યા છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી લોકોની સંખ્યા ગણશે.
- એન્ટ્રી કંટ્રોલ: જો પરિસરમાં ભીડ નિર્ધારિત મર્યાદા કરતા વધશે, તો તાત્કાલિક અસરથી પ્રવેશદ્વારો બંધ કરી દેવામાં આવશે જેથી અફરાતફરી ન સર્જાય.
વર્લ્ડ રેકોર્ડ પર નજર
નોંધનીય છે કે આ વર્ષે આયોજકો દ્વારા સતત ત્રીજી વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ફૂડ કોર્ટ, રાઈડ્સ અને સાંસ્કૃતિક વિવિધતાથી સભર આ કાર્નિવલ અમદાવાદીઓ માટે નવા વર્ષની ઉજવણીને યાદગાર બનાવી દેશે.












Click it and Unblock the Notifications
