Sabarmati Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ કરાયો
Sabarmati Riverfront : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આ કારણોસર સાબરમતી રિવરફ્રન્ટનો નીચલો ભાગ શનિવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

ધરોઈ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી ડેમમાંથી ૨૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેરે AMC કમિશનર અને મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના કલેક્ટરને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રાખવા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ધરોઈ ડેમનું જળસ્તર ૬૧૮.૪૮ ફૂટ હતું અને સતત પાણીની આવકને કારણે તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમની આપત્તિ વ્યવસ્થાપન યોજના (ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) સક્રિય કરવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
