વાંચો, 27 નવેમ્બરે ગુજરાત રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 27 નવેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીનની ચૂંટણી સામેની અપીલમાં ત્રણ મહિનામાં જવાબ આપવાનો આદેશ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને કરવામાં આવ્યો છે. સુરત સંબંધિત સમાચાર અંગે વાત કરવામાં આવે તો દસ્તાવેજો રાખવામાં બેદરકારી દાખવવા બદલ છ ગાયનેકોલોજિસ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગર સીટી એ ડિવિઝનમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
ગાંધીનગરઃ નિવૃત જજ ડી.પી બુચના નામને સ્વિકૃતિ
ગુજરાત લોકાયુક્તની નિમણૂંક અંગે કરવામાં આવેલી ભલામણને કેબિનેટમાં મંજૂરી મળી ગઇ છે. હાઇકોર્ટના નિવૃત જજ ડી.પી બુચના નામની ભલામણ કરવામાં આવી હતી. જેને રાજ્ય મંત્રી મંડળે સ્વિકૃતિ બતાવી છે.
રાજકોટઃ કોંગ્રેસ યુવા પ્રમુખ એક અઠવાડિયાથી લાપતા
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસ પ્રદેશના યુવા પ્રમુખ છેલ્લા એક અઠવાડિયાથી લાપતા હોવાનો મામલો બહાર આવ્યો છે. કોંગી પ્રમુખે એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યુ છે કે, વ્યાજખોરોના ત્રાસના કારણે તેમણે ઘર છોડ્યું છે. વ્યાજખોરો દ્વારા એક કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા.
અમદાવાદઃ 14 કિલો ચરસ સાથે 2ની ધરપકડ
અમદાવાદમાં 14 કિલોના ચરસ સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી 80 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. નોર્કોટિક્સ વિભાગ દ્વારા થલતેજમાંથી ચરસ પકડવામાં આવ્યું હતું.
અમદાવાદઃ 200 નર્સ હડતાળ પર
નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ સાથે નરોડાની જીસીએસ હોસ્પિટલની 200 જેટલી નર્સો હડતાળ પર ઉતરી ગઇ છે.
અમદાવાદઃ ગુજરાત યુનિ. ડીનની ચૂંટણી સામે હાઇકોર્ટમાં અરજી
ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીનની ચૂંટણી સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે સબબ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ત્રણ મહીનામાં અપીલ પર ચર્ચા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
સુરતઃ 6 ગાયનેકોલોજિસ્ટ સામે ફરિયાદ
સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રેકોર્ડમાં બેદરકારી રાખવા બદલ છ ગાયનેકોલોજિસ્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ગાયનેકોલોજિસ્ટ સામે પીએનડીટી મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. દસ્તાવેજો રાખવામાં બેદરકારી દાખવા બદલ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
અમરેલીઃ સગીરા પર બળાત્કાર
મળતી માહિતી અનુસાર બગસરાની સીમમાં રહેતી પર પ્રાતિંય સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સગીરા પર અલગ-અલગ સ્થળો પર બે વાર બળાત્કાર ગુજારાયો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરઃ શંકાસ્પદ હાલતમાં મળી કોન્સ્ટેબલની લાશ
જામનગર શહેરના સીટી એ ડિવિઝન ખાતે કાર્યરત હેડ કોન્સ્ટેબલ પી. જે ગૌસ્વામીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. હેડ કોન્સ્ટેબલની લાશ હોસ્પિટલ પાસેની સોલેરિયમ વોટર ટેંક પાસેથી મળી આવી છે. પોલીસે આ તકે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક તપાસમાં તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ વધુ તપાસ અર્થે તેમના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે.
સુરતઃ નારાયણ ધરપકડ કેસમાં સુનાવણી ટળી
યૌન શોષણ કેસમાં ફસાયેલા નારાયણ સાઇ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યા હતા, જેને લઇને નારાયણ સાઇ દ્વારા ધરપકડ વોરંટ રદ કરવાની અરજી કરી હતી. જે સબબ આજે બપોરે 3.30 વાગ્યે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી, જેને હવે 28 નવેમ્બર સુધી મલતવી રાખવામાં આવી છે.
રાજકોટઃ મોવિયા ડબલ મર્ડરમાં 4ની ધરપકડ
ગોંડલના મોવિયા ગામે બે સગા ભાઇઓની હત્યાના કેસમાં રાજકોટ એલસીબીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એલસીબીની ટીમ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓને આશરો આપવા બદલ ભાવનગરના મોટા ખુટવાડાના પૂર્વ સરપંચની પણ ધરપકડ કરવામાં આવી છે.