ગુજરાત પરિવહન અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઇ રહ્યુ છેઃ મુખ્યમંત્રી
ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૭.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ ટર્મિનલનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું.
ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૭.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ ટર્મિનલનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈનો નિર્ધાર ૮ વર્ષોના તેમના સુશાસનમા પાર પડ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતા પૂર્વક જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું કે ૨૩ હજાર બસ દ્વારા ૬.૯૯ લાખ મુસાફરોને લાભ આપનારા એસ. ટી. કર્મીઓને પણ અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતા પણ ગણાવી હતી.
૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૨૦૦૨ સુધીમાં ૭૦૨ વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે. ગુજરાત પરિવહન અને ઊર્જા બંને ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની કટિબદ્ધતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લાને એરપોર્ટની સુવિધા જેવા બસપોર્ટની ભેટ આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસયાત્રાને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહ્યા છે. કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં બનાસકાંઠા જિલ્લો આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, એરપોર્ટ જેવી સુવિધાવાળુ બસપોર્ટ બનવાથી જિલ્લાના ૫ હજાર લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. તેવો વિશ્વાસ શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા, કલેકટર આનંદ પટેલ, ડીડીઓ સ્વપ્નીલ ખરે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.