શંકરસિંહ વાઘેલા: કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય ડરવાની જરૂર નથી
કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ કહ્યું રવિ પૂજારીની ધમકી ખાલી કોંગ્રેસી નેતાઓને જ કેમ? સાથે જ કહ્યું કોઇ પણ નેતાએ ડરવાની જરૂર નથી.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેઓની ચેમ્બરમાં કોંગ્રેસની બેઠક દરમ્યાન ચર્ચા થઈ હતી. ધારાસભ્ય સી. કે. રાઉલજીને જુદા જુદા દેશોમાંથી અલગ અલગ નંબરો પરથી ધમકીભર્યા ફોન આવે છે કે, "રૂ. ૧૦ કરોડ આપી દો, નહીંતર આણંદના કાઉન્સેલર પ્રજ્ઞેશ જેવી તમારી હાલત થશે અને ગોળી મારી મારી નાંખવામાં આવશે.'' આ ગંભીર બાબતે અધ્યક્ષને કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળે પ્રશ્નોતરી રદ્દ કરી ધારાસભ્યઓની સલામતી માટેની ચર્ચા આપવા પત્ર પણ પાઠવેલ. આ બાબતે અધ્યક્ષએ પ્રશ્નોતરી બાદ ચર્ચાનો સમય ફાળવેલો હતો.
વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું દોઢ માસ અગાઉ અમારા ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત મારી સાથે હતા તે દરમ્યાન રવિ પુજારીનો ધમકીનો ફોન આવેલ કે "તમારા દીકરાને મારી નાંખવામાં આવશે." તે અંગેની જાણ મુંબઈ પોલીસને કરેલી. ત્યારબાદ સભ્યશ્રી અમિતભાઈ ચાવડા ઉપર પણ ધમકીનો ફોન આવેલો. જામખંભાળીયાના ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયાના પુત્ર ઉપર રૂ. ૧૦ કરોડની માંગણી કરતો અને મારી નાંખવાની ધમકી આપતો ફોન આવેલો. તેવી જ રીતે સભ્ય શક્તિસિંહ ગોહિલ કે જેઓ હાલમાં પરદેશ કોન્ફરન્સમાં ગયા છે તેમના ઉપર પણ આવો ધમકીનો ફોન આવેલો.
આમ, આ ચાર સભ્યઓ ઉપરાંત સભ્ય ગોવાભાઈ રબારી તેમજ અન્ય એમ કોંગ્રેસના ૧૦ સભ્યઓ ઉપર પણ ધમકીના ફોન આવેલા. કોંગ્રેસના ધારાસભ્યઓ કે જેઓ પ્રજાના પ્રશ્નો ઉજાગર કરી રાજ્ય સરકારની ગંભીર ભુલો તરફ ધ્યાન દોરી સતત સજાગ રહેતા સભ્યઓ ઉપર જ આવા ધમકીના ફોન કેમ આવે છે? તેવો વેધક સવાલ બાપુએ મીડિયાને પુછ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે એક જ સભ્ય ઉપર થાઈલેન્ડ, ભુટાન, અલ્જિરિયા, તુર્કી જેવા જુદા જુદા દેશોમાંથી ફોન આવતા હોય, તેથી ટેકનોલોજીનો દુરપયોગ કરતા હોય તેવું જણાય છે. આવી ધમકીઓ આપનારા શક્ય છે કે, ગાંધીનગર, દિલ્હી કે પરદેશમાંથી ફોન કરતા હોય, તેની ગૃહ વિભાગે ચિંતા કરી, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ગંભીરતાથી કરાવવી જરૂરી છે. કારણ કે, આજનો વિરોધપક્ષ ભવિષ્યમાં સરકાર બનાવવાનો છે, ત્યારે તેનો અવાજ દબાવી, બાનમાં લઈ અને ડરાવવાની કોશિષ થાય તેમજ કોંગ્રેસની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાની કોશિષ કરવામાં આવે તે વાતને સહેજ પણ ચલાવી લેવાય નહીં. જો કે કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય આવી ધમકીઓથી ડરવાના નથી. તેવું પણ શંકર સિંહ વાધેલાએ જણાવ્યું હતું