નસવાડી નજીક 12 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુ
ગાંધીનગર, 6 ઓક્ટોબરઃ નસવાડી તાલુકાના બરોલી ખાતે આવેલી નવી વસાહતના સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોને કોઇપણ પ્રકારનો લાભ આપવામાં આવ્યો નથી, જેને લઇને વસાહતમાં રહેતા લોકોએ આત્મવિલોપનની ધમકી આપી હતી. જે સબબ તંત્ર દ્વારા કેનાલ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં 12 જેટલી વ્યક્તિએ પોલીસને ચકમો આપીને કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને બચાવી લીધા છે, જેમાના એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે વડોદરા લઇ જવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા લોકોના આત્મવિલોપનને રોકવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી, પરંતુ પોલીસ આ લોકોને પકડી શકી નહોતી, પોલીસ દ્વારા કેનાલની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જોકે 12 લોકો પોલીસને ચકમો આપીને કેનાલ તરફ જતા રહ્યાં હતા અને કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોલીસે કેનાલમાં કૂદનાર તમામ 12 લોકોને બચાવી લીધા છે.