16 એપ્રિલ, ડેસર ગામના નાયકો અને એક ઇતિહાસ
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાની દક્ષિણે આપેલા જાંબુધોડાના સીમાડાઓને અડીને આવેલા હાલોલ તાલુકાનું ડેસર ગામ ચોતરફ નૈસર્ગિક વાતાવરણ અને ડુંગરમાળાઓની વચ્ચે પલાઠી વાળેને બેસેલું છે. આ ગામનો ઇતિહાસ કંઇક ભંયકર ભુતાવળોને યાદ કરાવે તેવો છે. ખૂબજ ઝનૂની, ક્રોધી, શિકારી અન વહેમીલો સ્વભાવ ધરાવતી આ નાયક કોમની સો ટકા વસ્તી ધરાવતા ગામના નાયકોની ભૂતકાળમાં એટલી હાક-ધાક હતી કે આ ગામમાં ધોળે દિવસે પણ કોઇ વ્યક્તિ પ્રવેશી શકતી ન હતી. ભુધર રાયકા નાયાક અને વરસન ક્રાંતિ નાયકનો ગુનાહિત ઇતિહાસથી આજની પેઢી સૌ અજાણ છે. પરંતુ આ ગામનું નામ પડતાં જ ભલ ભલા મુછાળા અધિકારીઓના પેન્ટ ભીના થઇ જતા હોવાના રેકોર્ડ નોંધાયેલા છે.
ભૂતકાળમાં લૂંટ-ધાડ, ચોરી તથા હત્યાઓ જેવા ગુન્હાઓમાં સમગ્ર રાજ્યમાં પંકાયેલી આ ડેસરની નાયક કોમ આવા ગુન્હાઓ કરી જંગલ વિસ્તારની ડુંગરમારાઓમાં સંતાઇ જતા અને જો પોલીસ આ તરફ નજર સુધા કરતી તો ચોતરફ પોલીસને ઘેરો ઘાલી તીરોનો મારો ચલાવી તેમને ભગાડી મુકતા આજે દેશમાં કેટલાક રાજ્યોમાં જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નક્સલવાદ પોતે સમાંતર શાસન ચલાવતા હોવાનો દાવો કરે છે તે જ રીતે આ વિસ્તારમાં ભુતકાળમાં આ નાયક કોમનું વર્ચસ્વ હતું.
ભૂતકાળમાં આ નાયક કોમ આજના જેવી ટેલીકોમ્યુનિકેસન અને વાહન વ્યવહારની સુવિધાઓ નહતી ત્યારે આજુબાજૂના હોલોલ, બોડેલી જાંબુઘોડા, શિવરાજપુર, વાઘોડિયા જેવા અનેક ગામોમાં પગપાળા જતા અને યોજનાબદ્ધ ચોરી લૂટ કરી તમામ સમાન સાથે જંગલરમાર્ગે ભાગી છૂટતા. સમય જતા આ ઝનૂની ક્રોધી અને ભંયકર કોમનો ગુનાહિત કામ કરતો ઘરફોડ વરસન ક્રાન્તિ નાયક હતો. બદલાયેલા સમય સાથે આ વરસન ક્રાન્તિ નાયકે નાના ગામોને પોતાના ટાર્ગેટ નહીં બનાવતા વડોદરા, અમદાવાદ મુંબઇ અને છેલ્લે બેંગ્લોરમાં પણ છાપામારી મોટી ચોરી કરી હતી.દારૂનો નશો અને માંસ ખાવ ટેવાયેલી આ નાયક કોમ શિકાર પણ કરતી અને ખેતીની લધુતમ આવકમાં ગુજરાત ચલાવતી.
ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે આ ડેસરનો વિસ્તાર ત્રણ તાલુકાની સરહદોને સ્પર્શો હોવાથી હાલોલ, જાંબુધોડા સંખેડામાં પાંચ પોલીસ ગામ ઉપર હલ્લો બોલાવતી તો સમગ્ર કોમ વડોદરા જિલ્લાની હદના જંગલોમાં છૂપાઇ જતા, એક સમયે ત્રણેય તાલુકાની પોલીસ- વડોદરા પંથકની પોલીસે પણ આ ગામને ચારે બાજૂથી ઘેરી લઇ ગામ પર છાપો માર્યો હોવાના પણ રેકર્ડ ઉપર નોંધાયેલ છે. પરંતુ તેમાં પણ પોલીસને સફળતા નહોતી મળી અને ભારે ઘર્ષણ બાદ તમામ નાયકો ભાગી છૂટ્યા હતા. છેલ્લે વરસન ક્રાન્તિનું પોલીસે એનકાઉન્ટર કરી તેનું શિવરાજપુર નજીક જંગલમાં ઢીમ ઢાળી દેતા આ નાયક કોમ શાંત બની હતી.
નાયક કોમનો ઇતિહાસ
પંચમહાલ અને વડોદરા જિલ્લાની નજીક આવેલા વિસ્તારો તથા બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં જોવા મળતી નાયક, નાયકા અને નાયકડા જાતિની આદિવાસી કોમ તેના ઝનૂની, શિકારી અને વહેમીલા સ્વભાવ માટે ખૂબજ જાણીતી હોવા છતાં તેની શારીરિક ક્ષમતા અને સહનશિલતા અને સંગઠનથી આ આદિવાસી કોમ આજે પણ સૌથી વધુ પછાત છે. 1857માં અંગ્રેજો અને અંગ્રેજો સામે ઝૂકી ગયેલા રાજા મહારાજાઓ સામે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરનારી આ કોમના ઇતિહાસથી આજે પણ સૌ અજાણ છે. આ કોમ પંચમહાલ અને તેના આસપાસના વિસ્તારમાં ક્યારે અને કઇ રીતે આવી તે એક સંશોધનનો વિષય આજે પણ બનેલો છે, પરંતુ સ્થાનિક લોક વાયકા અનુસાર આ કોમ ગુજરાતમાં મોગલાઇ પાંગળી અને સત્તાવિહિન બન્યા બાદ ગુજરાતમાં મરાઠી સત્તાનો ઝડપી ઉદય થયો અને તેમણે રાજ્યના વિવિધ પ્રદેશોમાં પોતાની સત્તાની જમાવટ કરી. જેમાં પંચમહાલના જાંબુઘોડા અને તેની આસપાસનો વિસ્તાર કૃષ્ણાજીના અંકુશમાં આવ્યો, પરંતુ મરાઠા સરકારોની પરસ્પરની સમજૂતિને લઇને 1761માં સિંધીયાને આ વિસ્તાર મળ્યો.
એ સમય ગાળામાં રાજપીપળાના રસ્તે, સાતપૂડાની પર્વતમાળાઓ ઓળંગી આ નાયક કોમ આ વિસ્તારમાં આવી હોય તેમ માનવાને કેટલાક કારણો છે જેમાંનું મુખ્ય કારણ તેમનો શારીરિક બાંધો અને તેમની બોલીમાં વરસતી મરાઠી ભાષાની છાંટ. નાયક કોમનું મુખ્ય મથક જાંબુઘોડા અને સાગરાળા વિસ્તાર ગણાય છે. સ્વતંત્રતા માટે લડતી અને અંગ્રેજો જેવી મહાસત્તા સામે પણ ઝુકવાનું નામ ના લેતી આ નાયક કોમ માટે ટ્રાઇબલ રોવલ્ટ્સ ઇન ઇન્ડિયા નામના પુસ્તકમાં તેના લેખ વી રાધવૈયાહે ખુબ સુંદર વર્ણન તેમના ગુજરાત અંગેના પુસ્તકમાં કર્યું છે.
16 એપ્રિલએ વીર શહિદ દિવસની ઉજવણી
અંગ્રેજોએ અને તેમના લેખકોએ ભારતના તમામ શૂરવીરોને હંમેશા નિર્દય, ક્રૂર, ઘાતકી કે જંગલી, શિકારી લૂટારાઓ તરીકે સંબોધ્યા છે. તેવી જ રીતે આ નાયક કોમે સૌપ્રથમ તેમના નેતા કે વડાઓ જેમ કે રૂપસિંહ નાયકના નેતૃત્વ નીચે 1838થી 1868 સુધી અંગ્રેજો સામે તથા સ્થાનિક રજવાડા સામે વિદ્રોહનો ઝંડો ફરકાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ વિદ્રોહી સંગઠનથી રાજા-રજવાડાઓ પણ ધ્રુજતા હતા, જેના કારણે અંગ્રેજોએ 1838માં જાંબુધોડા રાજ્યનો તમામ વહિવટ પોતાના હસ્તક લઇ લીધો અને 1918માં પરત આપ્યો હતો. આ નાયક કોમે તેમના નેતાઓ રૂપસિંહ , દેવલ, જાવલ, બાધરિયા, ગલાલીઓ, વુલેરીઓ, વિકલો, રાજીરો, જગો, ભૂરીઓ વિગેરે તથા જોરીઓ પરમેશ્વર અને તેના સાથીદારો વિગેરે એકત્ર થઇ 1858માં હથિયારો ઉઠાવી લૂંટફાટ કરતા હતા. જો કે, બ્રિટિશ શાસન અને દેશી રજવાડાઓએ સંયુક્ત રીતે આ નાયક કોમ સામે યુદ્ધ છેડીને 16 ફેબ્રુઆરી 1868માં જોરીઆ પરમેશ્વરના થાનક પર હુમલો કર્યો, જેમાં 11 માર્યા ગયા અને 58 લોકોને પકડવામાં આવ્યા હતા. પકડાયેલા લોકો વિરુદ્ધ કેસ ચલાવીને 16 એપ્રિલ 1868ના રોજ ફાંસી આપવામાં આવી હતી. જે દિવસને વીર શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.( ઐતિહાસિક તસવીરો અને વિસ્તૃત માહિતી વરિષ્ઠ પત્રકાર કિશોરભાઇ જાની(જાંબુઘોડા) પાસેથી મેળવવામાં આવી છે.)

16 એપ્રિલ, ડેસર ગામના નાયકો અને એક ઇતિહાસ

16 એપ્રિલ, ડેસર ગામના નાયકો અને એક ઇતિહાસ

16 એપ્રિલ, ડેસર ગામના નાયકો અને એક ઇતિહાસ

16 એપ્રિલ, ડેસર ગામના નાયકો અને એક ઇતિહાસ













Click it and Unblock the Notifications
