ગુજરાતમાં સરકારની મહેરબાનીથી થયું 2000 કરોડનું જમીન કૌભાંડઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં સરકારની મહેરબાનીથી થયું 2000 કરોડનું જમીન કૌભાંડઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર ધ્વારા ચાલી રહ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ અંગે મિડીયા સમક્ષ એક જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી ના શકે તેવો કાયદો અગાઉ કેન્દ્ર સરકારે બનાવેલ છે. ખેડૂતોને ખેતીની આવક ઇન્કમટેક્ષના કાયદામાંથી મુક્તિને પાત્ર છે. જેના કારણે, ખોટા ખેડૂતો બનીને ઇન્કમટેક્ષના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરપયોગ ન થાય તે માટે પણ બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદો જરૂરી છે.
અમદાવાદના એક બિલ્ડરે સદંતર ખોટું પેઢીનામું ઉભું કરીને ખેડૂતના ખોટા વારસદાર તરીકે પોતાની ખોટી ઓળખ બતાવીને ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા. વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત પ્રમાણપત્ર મેળવી બિેલ્ડરે ૨૦૦૦ કરોડની મિલકતો ખરીદી હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા બિલ્ડરે જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં.
૨૦૦૦ કરોડની જમીન ખરીદી કૌભાંડમાં રાજકીય મોટા માથા
આ અંગે કૉંગ્રેસ પાર્ટીએ યોગ્ય કાર્યવાહીની માંગણી કરી. કલેકટરના હુકમ પછી પણ પોલીસ કેસ નહીં થવાના અને જમીન ખાલસા નહીં થવાના કૌભાંડ માટે નામદાર હાઈકોર્ટના જજ સાહેબની દેખરેખ નીચે તપાસ કરવામાં આવે. તાત્કાલિક FIR દર્જ કરવામાં આવે અને બિલ્ડરે ખોટા ખેડૂત બનેલાઓની જમીન ખાલસા કરી ખેત મજૂરોને આપી દેવામાં આવે. ૨૦૦૦ કરોડની જમીન ખરીદી કૌભાંડમાં રાજકીય મોટા માથા કે મોટા સનદી અધિકારીનું કાળુંનાણું રોકાયેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે.
કેન્દ્રીય કાયદો
બિનખેડૂત ખેડૂત ન જ બની શકે તેવો કેન્દ્રીય કાયદો હોવા છતાં આ કાયદાની જોગવાઈ થી વિરુધ્ધ જે કંઈ પરિપત્રો કે પત્ર વ્યવહારો થયા હોય તે અલ્ટ્રાવાઇરસ ગણાય અને તે તાત્કાલિક રદ થવા જોઈએ.
કડક કાર્યવાહી કરવામાં આવે
ગુજરાતના તમામ કલેકટરશ્રીઓ આ પ્રકારના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને જો તે ચૂક કરેતો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.