રાજ્યની બે નગરપાલિકાઓમાં નગર સેવા સદન નિર્માણ માટે ૩ કરોડ રૂપિયા ફાળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની માણાવદર અને વિસનગર નગરપાલિકાઓને નવા નગર સેવા સદન નિર્માણ માટે કુલ ૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ સહાય મંજૂર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિના ઉપલક્ષ્યમાં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે. રાજ્યની જે નગરપાલિકાઓ પાસે પોતાનું ભવન ન હોય અથવા જે નગરપાલિકાઓના બિલ્ડીંગ ૩૦ વર્ષ કે તેથી વધુ જૂના હોય તેવી નગરપાલિકાઓને રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નવા નગર સેવા સદન નિર્માણ માટે સહાય આપે છે.
તદ્દઅનુસાર, રાજ્યમાં 'અ' અને 'બ' વર્ગની નગરપાલિકાઓને રૂ. બે કરોડ તેમજ 'ક' અને 'ડ' વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧ કરોડ આવા નવા નગર સેવા સદન ના બાંધકામ માટે આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માણાવદર અને વિસનગર નગરપાલિકાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે રજૂ કરેલી નગર સેવા સદન ના નવા ભવન નિર્માણ માટેની દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.
વિસનગર નગરપાલિકા 'બ' વર્ગની નગરપાલિકા હોઇ તેને રૂ. બે કરોડ અને 'ક' વર્ગની માણાવદર નગરપાલિકાને રૂ. ૧ કરોડ નવા નગર સેવા સદન માટે તેમણે મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાછલા બે વર્ષમાં રાજ્યની ૧૧ નગરપાલિકાઓને નવા નગર સેવા સદન ના નિર્માણ કાર્યો માટે કુલ ૧૩ કરોડ ૮૪ લાખ ૩૩ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે.
આ નગરપાલિકાઓમાં 'અ' વર્ગની એક નગરપાલિકાને રૂ. બે કરોડ, 'બ' વર્ગની ૩ નગરપાલિકાઓને રૂ. પ.૪પ કરોડ, 'ક' વર્ગની ૪ નગરપાલિકાઓને રૂ. ૩.૪૯ કરોડ અને 'ડ' વર્ગની ૩ નગરપાલિકાઓને રૂ. ર.૮૯ કરોડ નગર સેવા સદન ના બાંધકામ માટે ફાળવવામાં આવેલા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂ. ૮૦૮૬ કરોડના બજેટ પ્રાવધાન સાથે ર૦ર૪ સુધી લંબાવી છે.
આ યોજના દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓના કાર્યો હાથ ધરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
