અંબાજીમાં સાંસદ પરબત પટેલના હસ્તે વિચરતી જાતિના ૩૩ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાયો
અંબાજીમાં સાંસદ પરબત પટેલના હસ્તે વિચરતી જાતિના ૩૩ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાયો
યાત્રાધામ અંબાજી નજીક આવેલ કુંભારીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતનું સાંસદ પરબત પટેલના હસ્તે લોકાર્પણ કરી વિચરતી જાતિના 33 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 68 આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 94 લાભર્થીઓને સનદ આપવામાં આવી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
કુંભારીયા શ્રી શક્તિ વસાહતના લોકાર્પણ પ્રસંગે સાંસદ પરબત પટેલે ગૃહપ્રવેશ કરનાર 33 લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ગૃહ પ્રવેશના પ્રતિક રૂપે ચાવી, રાશનકીટ અને સાડી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબત પટેલે જણાવ્યુ કે, વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેમને સ્થાયી કરવાનું કામ સરકારે કર્યું છે. આજે વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. ત્યારે નવા ઘરમાં તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તેઓ ખુશીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી જેમને મકાન મળ્યા છે અને જેનો મકાનમાં પ્રવેશ થયો છે એ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજયસભા સાંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ દવે, કલેક્ટર આનંદ પટેલ, દાંતા પ્રાંત અધિકારી સિધ્ધિ વર્મા, શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રમુખશ્રી ઉષાબેન અગ્રવાલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.