લો બોલો!!! ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 4.3 ટકા લોકોને દારૂની આદત
રાજ્ય સભામાં રજૂ કરાવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ 4.3 ટકા વસ્તી એટલે કે રાજ્યના લગભગ 19.53 લાખ લોકોને દારૂ પીવાની આદત છે.
ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતા રાજ્યના કોઇપણ ખૂણે દારૂ મળી જ જાય તેટલો સરળતાથી ઉપલ્બ્ઘ છે. તાજેતરમાં રાજ્ય સભામાં રજૂ કરાવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ 4.3 ટકા વસ્તી એટલે કે રાજ્યના લગભગ 19.53 લાખ લોકોને દારૂ પીવાની આદત છે. એ નારાયણસ્વામી, MoS (સામાજિક ન્યાય અને સશક્તિકરણ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં AIIMS દ્વારા નેશનલ ડ્રગ યુઝ સર્વે, 2019 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા આંકડાને ઘ્યાનમાં લેવામાં આવ્યા છે.
આ આંકડામુજબ ગુજરાતમાં 4.3 ટકા લોકો દારૂ પર નિર્ભર હતા. આ રાજસ્થાનના 2.3 ટકા, બિહારના 1 ટકા અને જમ્મુ અને કાશ્મીરના 4 ટકા કરતા પણ વધારે લોકોને દારૂની લત છે. સમગ્ર દેશમાં સરેરાશ 17.1 ટકા લોકોને દારૂની લત છે. આ સર્વે મુજબ ગુજરાતની લગભગ 1.46 ટકા વસ્તી એટલે કે લગભગ 6.64 લાખ લોકોને ઓપીઓઇડ્સ, 1.38 ટકા એટલે કે 6.28 લાખ લોકોને હળવું વ્યસન છે. જ્યારે 0.8 ટકા એટલે કે 3.64 લાખ લોકોને ગાંજાનું વ્યસન છે. આ ઉપરાંત 36,000 લોકો એટલે કે 0.08 ટકા લોકો ઇન્હેલન્ટ્સના વ્યસની છે.
રાજ્યમાં કોકેન, એમ્ફેટામાઇન અને હેલ્યુસિનોજેન્સનું કોઈને વ્યસન નહીં : સર્વે
સર્વે મુજબ ગુજરાતમાં કોકેન, એમ્ફેટામાઇન અને હલ્યુસિનોજેન્સના વ્યસની ન હતા. આ સર્વેમાં કુલ વસ્તીના આશરે 8 ટકા એટલે કે આશરે 36.5 લાખ લોકો દારૂ અથવા ડ્રગ્સના વ્યસની હોવાનું સામે આવ્યું હતું. આ સર્વેમાં તમાકુના ઉત્પાદનોના વ્યસનીઓના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. શહેર આધારિત નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન વ્યસનોની હદને સમજવા માટે આંકડાઓ મહત્વપૂર્ણ હોય છે. મોટાભાગના ડિ-એડિક્શન સેન્ટર્સ અને મનોચિકિત્સકોના જણાવ્યા મુજબ, ડ્રગ અને માદક દ્રવ્યોના દુરૂપયોગ માટેની OPDની સંખ્યામાં વર્ષ 2019-20ની તુલનામાં વર્ષ 2020-21માં બમણો વધારો
થયો છે.
ચિંતા અને તણાવના કારણે વ્યસનીઓની સંખ્યા બેગણી થઇ
વ્યસનમુક્તિમાં વિશેષતા ધરાવતા કનોરિયા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રના વડા ડૉ. રાજેન્દ્ર આનંદ જણાવે છે કે, લોકડાઉન દરમિયાન અને તે બાદ ચિંતા અને તણાવના કારણે આ સંખ્યા બે ગણી થઈ ગઈ છે. આ સાથે જેમને વ્યસન છૂટી ગયું હતું, તેમને તણાવમુક્ત થવા કે તણાવ ઓછો કરવા માટે દારૂ અને ડ્રગનું સેવન કરવાનું ફરીથી શરૂ કર્યું હતું. નવા દર્દીઓમાં પણ મુખ્યત્વે આલ્કોહોલનો વધારો થયો છે. નિષ્ણાંતોએ નોંધ્યું છે કે, આર્થિક રીતે નબળા વર્ગના લોકો કફ સિરપ અને ઇન્હેલન્ટનો વપરાશ નશા માટે કરતા હોય તેવા કિસ્સામાં પણ વધારો થયો હતો.
એકલતા, હતાશા અને અજાણ્યો ડર વ્યસન માટે જવાબદાર
માનસિક આરોગ્ય માટેની સરકારી દવાખાનાના મનોચિકિત્સક ડૉ. રામશંકર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી હોસ્પિટલમાં દર 10 દર્દીઓમાંથી છ દર્દીઓ ડ્રગ અથવા દારૂના વ્યસન સામે ઝઝૂમી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો પહેલાથી જ વ્યસની હતા, પણ તેમને કોરોના મહામારીને કારણે વ્યસનની માત્રામાં વધારો કર્યો હતો. એકલતા, હતાશા અને અજાણ્યો ડર જેવા કેટલાક પરિબળો આ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધીઓએ વ્યસનીઓને તિરસ્કૃત ન કરવા જોઈએ
વ્યસનમુક્તિ નિષ્ણાત અને GIPSના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. પ્રદિપ વાઘાસીયાએ જણાવ્યું હતું કે, ટકાવારીની દ્રષ્ટિએ દૈનિક ઓપીડીમાં આશરે 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે. હું તેને એક સારા સંકેત તરીકે જોઉં છું, કારણ કે લાંબા સમય સુધી નિકટતામાં રહેવાને કારણે પરિવારના સભ્યોને વ્યસન હોય તો તેની જાણ થાય છે. લાંબા સમયનું વ્યસન ઘણીવાર દવાઓ અથવા પરામર્શ વગર ફરી શરૂ થઇ જાય તેવી શક્યતાઓ છે. આ મુદ્દામાં ધ્યાનમાં રાખવા જેવું પ્રથમ પગલું વ્યસન હોવાનું સ્વીકારવાનું છે. સંબંધીઓએ વ્યસનીઓને તિરસ્કૃત ન કરવા જોઈએ. એવું કરવાથી તેમને વધુ આક્રમક બને છે.