રાજકોટ પાસેના આજી-2 ડેમમાં ડૂબવાથી 4 વિદ્યાર્થિનીઓના મોત
રાજકોટ, 7 ઓગસ્ટ : આજે રાજકોટ જિલ્લાના ઇશ્વરીયા ગામ પાસે આવેલ સિંચાઇ હેઠળના આજી - 2 ડેમમાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થિનીઓના કરુણ મોત નીપજ્યાં છે. આજે બપોર બાદ અંદાજે 4.30 કલાકની આસપાસ રાજકોટની સેન્ટ તુલસી સ્કુલની હોમ સાયન્સમાં અભ્યાસ કરતી 4 યુવતીઓ પીકનીક કરવા આજી 2 ડેમમાં ગઇ હતી. જ્યાં ડૂબી જવાથી તેમનાં કરૂણ મોત નિપજયાં હતાં.
આ બનાવની જાણ થતા તરત જ રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ ભીખાભાઇ ઠેબા તથા કિરીટભાઇ કોલીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે આજે સાંજે 4.30 વાગે ફાયર બ્રિગેડને આજી ડેમમાં 4 યુવતીઓ ડૂબી ગયાની જાણ થતા ફાયર બ્રિગેડની રેકસ્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

જો કે ત્યાં સુધીમાં તમામ 4 યુવતીઓ મૃત્યુ પામી હતી. ડેમમાંથી 4 યુવતીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ તુલસીની કુલ 8 જેટલી યુવતીઓ આજે બપોરે આજી-2 ખાતે પીકનીક માટે આવી હતી.
આ દરમિયાન ચાર યુવતીઓ ન્હાવા પડી હતી. વરસાદને પગલે ઉંડા થયેલા પાણી સામે યુવતીઓ ટકી શકી ન હતી અને પાણીમાં ગરક થઇ ગઇ હતી. આ ચાર મૃતક યુવતીઓમાં રીયા, શિવાની, વિભુતીબા મહિપતસિંહ જાડેજા અને ખુશ્બુનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
