એવુ તો શું થયુ કે એકસાથે 600 માછીમારોએ ઈચ્છા મૃત્યુ માંગી લીધુ?
ગુજરાત હાઈકોર્ટમાં પોરબંદરના માછીમારોએ એકસાથે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા રજૂઆત કરી છે.
પોરબંદરઃ ગુજરાત હાઈકોર્ટમાં પોરબંદરના માછીમારોએ એકસાથે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા રજૂઆત કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના 600 વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાથી સામૂહિક ઈચ્છામૃત્યુ માંગ્યુ છે. સરકાર હિંદુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે અને પૂરતી માત્રામાં સુવિધા આપતી ન હોવાની દલીલ હાઈકોર્ટની અરજીમાં કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના અગ્રણી અલ્લારખ્કા ઈસ્માઈલભાઈ થીમ્મર દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સામૂહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગવામાં આવી છે. ઈચ્છા મૃત્યુ માટે કારણ જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 100 વર્ષોથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. માછીમારો માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણીજોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ નથી આપી રહી.
તમને જણાવી દઈએ કે પોરબંદર જિલ્લા કલેક્ટરે કર્લી જળાશય અને આસપાસમાં હોડી મારફતે ફિશિંગ નહિ કરવાના આદેશ આપ્યા છે. 100 પરિવારોએ જિલ્લા કલેક્ટરને અરજી આપીને પોતાની આજીવિકા આપવાની માંગ પણ કરી છે અને જો 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો 100 પરિવારના 600 લોકોને આપઘાત કરવાની સરકાર મંજૂરી આપે તેવો પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફિશરીઝ વિભાગ દ્વરા લાયસન્સ રિન્યુ કરવાની પણ માંગ કરવામાં આવી છે.