જૂનાગઢ પાસે 7 કરોડની લૂંટઃ પોલીસની ત્રણ ટૂકડી દ્વારા તપાસ
આ બનાવ અંગે એવું પણ જાણવા મળી રહ્યું છેકે આ લૂંટની સમગ્ર ઘટના ટેક્નિકલ છે. જોકે સાચું શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. આ લૂંટ અંગેની વિગતો એવી છેકે, મુંબઇના જમીન દલાલ વસંતરાવ અને તેમનો ડ્રાઇવર જમાલ પોતાની સ્કોડા કાર લઇને ધોરાજી પાસેના નાની મરડ ગામે નથુભા દરબારની 57 વીઘા જમીન ખરીદવા આવ્યા હતા. જે દરમિયાન જૂનાગઢના જાંજરડા ગામે સંજય ધોરાજીય અને પાટણવાવના ભુરા હિંગોળજા સાથે 7 કરોડનું જમીન ખરીદીનું પેમેન્ટ કરવા માટે નાની મારડ જવા નિકળ્યા હતા.
ઉક્ત ચારેય વ્યક્તિ રાત્રીના સમયે કારમાં પાટણવાવથી જાંજરડા તરફ જઇ રહ્યાં હતા ત્યારે જૂનાગઢ તાલુકાના આંબલીયાળા નજીક ચાર અજાણ્યા શખ્સો દ્વારા કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોતે પોલીસ હોવાનું જણાવી મુંબઇના એસ્ટેટ બ્રોકર અને તેમના ડ્રાઇવરનું 7 કરોડ રૂપિયા સાથે અપહરણ કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસ ગત કાલથી તપાસ હાથ ધરી છે અને ફરિયાદી સંજય ધોરાજીયાની કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને કહ્યું છેકે 2 દિવસમાં લૂંટનો ભેદ ઉકેલાઇ જશે. જોકે આ લૂંટને લઇને સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આટલી મોટી રકમ સામે જાંજરડા જવા પાછળનું કારણ, કેટલા લોકોએ લૂંટ ચલાવી તેની અસ્પષ્ટતા આ ચોરીને શંકાસ્પદ અથવા તો ટેક્નિકલ હોવા તરફ ઇશારા કરી રહી છે.