કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક
ગુજરાત વિદ્યાપીઠના સંચાલન અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા હોય, ક્યાંય અસમંજસ કે સંશયને સ્થાન ન હોય અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને આદર્શોનું ચુસ્તપણે પાલન થાય એ પ્રકારે કામગીરી કરવા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં તેમણે કહ્યું કે, પૂજ્ય ગાંધીજીની કલ્પના પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠ સંકુલ જીવંત બને અને અહીં અભ્યાસ કરતા યુવાનો ઊર્જવાન બને એ માટે ઝડપભેર સહિયારા પ્રયત્નો કરીએ.

ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની બેઠક આજે રાજભવનમાં યોજાઇ હતી. આ બેઠકમાં વિદ્યાપીઠના વિવિધ વિકાસ કામો અને ભવિષ્યના આયોજન વિશે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠની કામગીરી અને પ્રવૃત્તિઓને વધુ સુનિયોજીત કરીને પ્રભાવક બનાવવા ચર્ચા-વિચારણા કરાઈ હતી.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંકુલમાં આવેલી જૂની-જર્જરીત ઈમારતોની મરામત કરાઈ રહી છે. છાત્રાલયમાં વિદ્યાર્થીઓ માટે આવાસ અને ભોજનની વ્યવસ્થા વધુ સારી થવી જોઈએ. વિધાપીઠના સંકુલોમાં રમતગમતના વધુ સારા મેદાનોની જરૂરિયાત પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, યુવાનોમાં રહેલી ઊર્જાને ચેનલાઈઝ્ડ કરવા રમતના મેદાનો આવશ્યક છે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવાની સૂચના આપતાં કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વિધાપીઠની યોજનાનો મૂળ હાર્દ યોગ્ય હોય પરંતુ તે અંતર્ગત ચાલતી કામગીરી અયોગ્ય હોય અને નાણાંનો દૂર્વ્યય થતો હોય તો તેવી યોજનાઓની સમીક્ષા કરીને તે પરિણામલક્ષી બને તેવા પ્રયત્નો થવા જોઈએ.
ગુજરાત વિદ્યાપીઠના ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિ માટેના મૉડેલ તાલીમ કેન્દ્ર બનશે. કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ કહ્યું છે કે, "પ્રકૃતિ માણસની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે પણ માણસની લાલચની પૂર્તિ કરી શકતી નથી." પૂજ્ય ગાંધીજીની આ વાત વર્તમાનમાં વધુ યોગ્ય અનુભવાય છે. પ્રકૃતિની રક્ષા કરવી હશે, સ્વાસ્થ્યપ્રદ અન્ન જોઈતું હશે, સૌનું આરોગ્ય સારું રાખવું હશે, ગ્લોબલ વૉર્મિંગથી બચવું હશે તો પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉપાય છે. એ માટે વધુને વધુ ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવું પડશે. ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ઓછા વરસાદે વધુ ઉત્પાદન આપી શકે એવા બિયારણોનું નિર્માણ કરશે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે ત્રણેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોને વિશેષ તાલીમ આપવામાં આવશે.
રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસારનું કામ ગુજરાતીઓએ જ કર્યું છે; એમ કહીને કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય ગાંધીજી ગુજરાતી હોવા છતાં તેમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતીજી પણ મૂળ ગુજરાતી હતા, છતાં તેમણે હિન્દી ભાષામાં ૪૦ જેટલા દુર્લભ ગ્રંથો લખ્યા, એટલું જ નહીં આખા દેશને એકતાના સૂત્રથી બાંધી શકે એવી એક જ ભાષા હિન્દી છે એમ તેઓ માનતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હિન્દી ભાષાનું મહાત્મ્ય વધારવા હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાત વિદ્યાપીઠ પણ પૂજ્ય ગાંધીજીના વિચારોને અનુરૂપ હિન્દી ભાષાનો વ્યાપ વધારવામાં વિશેષ પ્રયત્નો કરશે.
ગુજરાત વિદ્યાપીઠ મંડળની આ બેઠકમાં વિધાપીઠના કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી, કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલભાઇ ભટ્ટ અને ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહીને સર્જનાત્મક વિચાર-વિમર્શ કર્યો હતો.












Click it and Unblock the Notifications
