લોથલમાં બની રહેલા મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સની સમિક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે લોથલમાં બની રહેલા મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નિર્મિત થઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, માનનીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઇક અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગ દરમિયાન સંરક્ષણ મંત્રાલય સાથે એક દરિયાઇ ગેલેરી: ધ જર્ની ઓફ ઇન્ડિયન નેવી એન્ડ કોસ્ટ ગાર્ડ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
મીટિંગ દરમિયાન શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસિત કરી રહ્યું છે. આ કોમ્પ્લેક્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. NMHC એ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલા પ્રોગ્રામના મુખ્ય પ્રોજેક્ટ્સમાંનું એક છે અને તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ હશે.
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને રાજ્યને સોંપવામાં આવેલી વિવિધ જવાબદારીઓ નિભાવવામાં ગુજરાત તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે. રાજ્ય ધોરીમાર્ગથી NMHC પ્રોજેક્ટ સાઈટ સુધીના રોડનું 4 લેનિંગનુ કામ ચાલુ છે અને લગભગ 25 કિમી દૂરથી નર્મદા પાણી પુરવઠો પહોંચાડવાનું કામ પૂરું થઈ ગયું છે. આ સિવાય 17 કિમીની ટ્રાન્સમિશન લાઇનો નાખવાનું કામ પ્રગતિમાં છે અને 66 KV GIS સબસ્ટેશનની સ્થાપના માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેનું કામ પણ પ્રગતિ હેઠળ છે અને મૂળભૂત આંતરિક માળખાના વિકાસ માટે 150 કરોડ રાજ્ય સરકારે ફાળવ્યા છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સાગરમાલા પ્રોગ્રામ હેઠળ 4500 કરોડના અંદાજિત ખર્ચ સાથે આશરે 400 એકર વિસ્તારમાં NHMC વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તેને જાહેર અને ખાનગી સંસ્થાઓના ભંડોળ અથવા વિવિધ સંસ્થાઓ અને CSR ભંડોળ દ્વારો વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય બંદરો 209 કરોડના ભંડોળનું યોગદાન આપી રહ્યા છે.
આ પ્રોજેક્ટની પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું કે, NMHCને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત છે, જે દેશમાં આ પ્રકારનું સર્વપ્રથમ કોમ્પ્લેક્સ છે અને તેમાં મેરિટાઇમ મ્યુઝિયમ, લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ થીમ પાર્ક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષણ અને મનોરંજનનો અભિગમ અપનાવીને આ કોમ્પ્લેક્સ પ્રાચીનથી આધુનિક સમય સુધીના દેશના દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે.












Click it and Unblock the Notifications
