કોર્ટે જામીન અરજી ફગાવતા જેઠા ભરવાડની ધરપકડ
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન પંચમહાલની શહેરા બેઠકમાં થયેલા ફાયરિંગ કેસના આરોપી અને ભાજપી ધારાસભ્ય જેઠા ભરવાડે 19 ડિસેમ્બરના રોજ ગોધરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેની આજ રોજ સુનવણી દરમિયાન કોર્ટે તેમની અરજી નામંજૂર રાખતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.
જેઠા ભરવાડ પર કોંગ્રેસી નેતા અને શહેરા બેઠક પર તેમની સામે ઉભેલા છોટુ ભરવાડ પર ફાયરિંગ કરવાનો આરોપ છે. આ ઘટમાં જેઠા ભરવાડને માથાના ભાગે ઇજા પહોંચતા તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી તેઓ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા હતા.
જોકે આ પહેલા તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે 'મારી કોઇ ધરપકડ કરવામાં આવી ન્હોતી માટે ફરાર થઇ જવાનો સવાલ જ પેદા નથી થતો. તેમણે જણાવ્યું હતુ કે હાલમાં મને ડોક્ટરે આરામ કરવાનું જણાવ્યું છે. મારા અંગરક્ષકે મારા બચાવ માટે હવામાં ગોળીબાર કર્યો હતો, માટે મેં કોઇ ગૂનો નથી કર્યો કે જેનાથી મારે સંતાવું પડે. પોલીસ મને તપાસ માટે બોલાવશે અને હું સાજો થઇ જઇશ તો હું પોલીસ સમક્ષ હાજર થઇ જઇશ'
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન શહેરા બેઠક પર મતદાન દરમિયાન જેઠા ભરવાડ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે તકરાર થઇ હતી. જેના પગલે ઉશ્કેરાઇને કોંગ્રેસી કાર્યકરોએ જેઠા ભરવાડ પર હોકી અને તલવારથી હુમલો કર્યો હતો. જેઠા ભરવાડે જણાવ્યું હતું કે બચાવના ભાગરૂપે તેમના અંગરક્ષકે હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે આ તકરારમાં જેઠા ભરવાડ અને છોટુ ભરવાડને પણ ઇજાઓ પહોંચી હતી.
અત્રે નોંધનીય છે કે જેઠા ભરવાડે પંચમહાલની શહેરા બેઠક પર 76,468 મત મેળવીને શાનદાર વિજય મેળવ્યો છે.