અમદાવાદમાં 66 વર્ષીય ઉદ્યોગપતિએ પોઇન્ટ બ્લેન્કથી કરી આત્મહત્યા
અમદાવાદમાં જીતેન્દ્ર પ્રહલાદભાઇ પટેલ ઉર્ફ રાજાભાઇ બીડીવાલાએ તેમની લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. જાણો વધુ અહીં.
અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળ આવેલા સ્પ્રીંગવેલી -એ માં આવેલા બંગલા નંબર 15માં રહેતા જીતેન્દ્ર પ્રહલાદભાઇ પટેલ (ઉ.વ.66) નામના વ્યક્તિએ ગત રાત્રીએ તેમના બેડરૂમમાં લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સરખેજ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આત્મહત્યા કરનાર જીતેન્દ્ર પટેલ જસવંત છાપ ટેલીફોન બીડીના પરિવાર સાથે સંળકાયેલા હતા અને તેમાં ભાગીદાર પણ હતા. તેમજ ફાર્મસીના બિઝનેસમાં પણ સંકળાયેલા હતા અને રાજાભાઇ બીડીવાલા તરીકે ઓળખાતા હતા.
જીતેન્દ્ર પટેલ તેમના પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. શનિવારે તે રાતના એક વાગે તે તેમના બેડરૂમમાં સુવા માટે ગયા હતા. પણ મોડી રાત સુધી તેમને ટીવી જોવાની આદત હોવાથી તેમના પત્ની તેમની સાથે સુવા માટે ગયા નહોતા અન્ય બેડરૂમમાં સુવા માટે ગયા હતા. જ્યારે સાડા છ વાગ્યાના સુમારે તે તેમના રૂમમાં આવ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા કારણ કે જીતેન્દ્ર પટેલ લોહી લુહાણમાં બેડ પર પડ્યા હતા અને હાથમાં તેમની રિવોલ્વર હતી. આ જોતા જ તેમણે બુમાબુમ કરી મુકી હતી અને તેમના પુત્ર અને પુત્રવધુને બોલાવ્યા હતા.
જો કે તેમના પુત્રએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીતેન્દ્ર પટેલનું મોત નીપજી ચુક્યુ હતુ. જેથી સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને સરખેજ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર પી રામાણીએ જણાવ્યુ કે અમે આ અંગે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને જે રિવોલ્વરથી તેમણે આત્મહત્યા કરી હતી તે લાયસન્સ વાળી હતી અને તેમના નામે નોંધાયેલી હતી. જો કે આત્મહત્યા શા માટે કરી તે અંગે હજુ સુધી કોઇ કારણ જાણી શકાયુ નથી. જેથી અમે તેમના પરિવારજનોના નિવેદનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આત્મહત્યા કરનાર જીતેન્દ્ર પટેલ માનસિક બિમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલતી હતી. જેથી કદાચ માનસિક બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.