અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના ફ્રીક્વન્સી શેડ્યૂલમાં ફેરફાર
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રોના સમયપત્રક અને રૂટમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે નોર્થ-સાઉથ કોરિડોર પર મોટેરા સ્ટેડિયમના બદલે કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશનને નવું ટર્મિનલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
નવા ફેરફાર મુજબ હવે લાઈન-2 મેટ્રો ટ્રેન APMC થી કોટેશ્વર રોડ વચ્ચે દોડશે, જેના કારણે આ કોરિડોરની લંબાઈ વધીને 20.2 કિમી થઈ છે. મુસાફરો હવે આ અંતર માત્ર 35 મિનિટમાં કાપી શકશે જે શહેરની કનેક્ટિવિટી વધારશે.

બીજી તરફ કોટેશ્વર રોડ અને મહાત્મા મંદિરને જોડતી લાઈન-3 ના રૂટમાં પણ ફેરફાર થતા તેની લંબાઈ 20.87 કિમી થઈ ગઈ છે. આ રૂટ પર મુસાફરીનો સમય હવે અંદાજે 43 મિનિટ જેટલો રહેશે તેવું રેલવે દ્વારા જણાવાયું છે.
બ્લુ લાઇન એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચે પીક અવર્સમાં દર 7 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અન્ય સામાન્ય કલાકોમાં અને શનિવાર-રવિવારે ટ્રેનની ફ્રીક્વન્સી 10 થી 12 મિનિટની વચ્ચે રહેશે.
રેડ લાઇન પર APMC થી કોટેશ્વર રોડ વચ્ચે મેટ્રો સેવાઓ સવારે 6.16 થી રાત્રે 10.11 વાગ્યા સુધી દર 12 મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે. આ કોરિડોર પર પ્રથમ ટ્રેન સવારે 6.20 વાગ્યે બંને છેડેથી રવાના કરવામાં આવશે.
અમદાવાદ અને ગાંધીનગરને જોડતી યલો લાઇન પર મેટ્રો સવારે 7.33 થી રાત્રે 8.09 વાગ્યા સુધી દર 24 મિનિટે દોડશે. આ રૂટ કોટેશ્વર રોડથી મહાત્મા મંદિર સુધીના મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.
ગિફ્ટ સિટી જતી મેટ્રો એટલે કે વાયોલેટ લાઇન પર હાલ મર્યાદિત સેવાઓ ઉપલબ્ધ છે જે સવાર અને સાંજ એમ બે શિફ્ટમાં ચાલશે. બપોરના સમયે GNLU થી ગિફ્ટ સિટી જવા માટે બસ સેવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
GMRC એ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લી ટ્રેન ઉપડવાના 5 મિનિટ પહેલા જ ટિકિટ વિન્ડો બંધ કરી દેવામાં આવશે. મેટ્રોના સંચાલન અને ટેકનિકલ કારણોસર ટ્રેનની ફ્રીક્વન્સીમાં ભવિષ્યમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
