અજમેર બ્લાસ્ટમાં વડોદરાથી પિતા-પુત્રની ધરપકડ
વડોદરા, 5 મે: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) અને વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે વડોદરા જિલ્લાના વાધોડિયા જિલ્લાના કાશીપુરા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી. એનઆઇએ હજી અજમેર બ્લાસ્ટમાં એક વ્યક્તિને શોધી રહી છે. ધરપકડ કરાયેલાં પિતા-પુત્રની મોડાસા બ્લાસ્ટ કેસમાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.
ગાજરાવાડીમાં રહેતા જયંતિ જામસિંગ ગોહિલ અને તેના પુત્ર રમેશ જયંતિ બેસ્ટ બેકરી કેસમાં વડોદરાની કોર્ટમાં નિર્દોષ જાહેર થતાં છૂટકારો થયો હતો. આ કેસને ફરીથી ખોલવામાં આવ્યા બાદ બંને ભાગી છૂટ્યા હતા. અજમેરમાં 2007માં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં બેસ્ટ બેકરી કેસના આરોપી હર્ષદ સોલંકીની પૂછતાછમાં બેસ્ટ બેકરી કેસના જ ત્રણ આરોપી મફત ઉર્ફે મેહુલ મણીલાલ ગોહિલ, જયંતી જામસિંગ ગોહિલ અને તેના પુત્ર રમેશ જયંતી ગોહિલની સંડોવણી હોવાનું સપાટી પર આવ્યું હતું.
અજમેર બ્લાસ્ટ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોપાવામાં આવી હતી. 8 માર્ચે એનઆઇએની ટુકડીએ મફત ગોહિલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એનઆઇએની ટુકડીએ મળેલી માહિતી આધારે પીઆઇ વિજેન્દ્રસિંગ અને કોન્સ્ટેબલ સુનિલે વડોદરા આવી શહેર પોલીસની પેરોલ ફર્લો સ્કવોડને સાથે રાખી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં ગઇકાલે રાતે વાઘોડિયાના કાશીપુરા ગામે યોજાયેલાં ભાણેજના લગ્નમાં જયંતી અને રમેશ હાજરી આપવા આવવાના હોવાની બાતમી આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન રાતે સાડા અગિયાર વાગે પિતા-પુત્ર આવતા ખેતરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.