અંબાજીના ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓનું કલેક્ટરે સ્થળ નિરિક્ષણ કર્યુ!
આગામી ભાદરવા મહિનામાં અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે.
આગામી ભાદરવા મહિનામાં અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સ્થળ મુલાકાત કરીને તમામ તૈયારીની સમીક્ષા કરી જરૂરી કાર્યો હાથ ધરવા સૂચન કર્યા હતા.
ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળા દરમિયાન પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને તેનું પાર્કિગ, યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી આસપાસના વિસ્તારોની જાત મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
આ સાથે આયોજનની અગત્યની બેઠક મળી હતી. જે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.