ઉતરાયણના દિવસે પવન કેવો રહેશે? આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયાઓમાં પવનની ગતિને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જ્યોતિષીય ગણતરી મુજબ પવન અંગે મહત્વની આગાહી જાહેર કરી છે.
મીડિયા સાથે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તરાયણના દિવસે સવારથી જ પતંગ ચગાવવા માટે સાનુકૂળ પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે. સવારે 9 વાગ્યાથી આશરે 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શરૂઆત થઈ શકે છે.

દિવસ દરમિયાન પવનની ગતિમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જે સરેરાશ 6 થી 7 કિમીની આસપાસ રહેશે. જોકે, રાજ્યના અમુક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 10 થી 12 કિમી સુધી પહોંચી શકે છે.
અમદાવાદ, મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પતંગરસિયાઓને પવન સાથ આપશે તેવી અપેક્ષા છે. પાલનપુર, રાધનપુર અને વિરમગામ જેવા શહેરોમાં પણ પવનની સ્થિતિ પતંગબાજી માટે અનુકૂળ રહેશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય શહેરો કરતા વધુ તેજ રહેવાની શક્યતા છે. ભાવનગર, પોરબંદર અને જામનગરમાં પવનની ગતિ પતંગબાજોને મોજ કરાવી દેશે તેમ મનાય છે.
સુરતમાં પવનની ગતિમાં વિશેષ ફેરફાર જોવા મળી શકે છે, જ્યાં ગતિ 9 થી 26 કિમી સુધી રહેવાની શક્યતા છે. વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીએ પણ પવનની આવનજાવન જળવાઈ રહેશે.
ઠંડીના મોરચે વાત કરીએ તો, 16-17 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થઈ શકે છે. જેને કારણે કડકડતી ઠંડીમાં થોડી રાહત મળવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
જાન્યુઆરીના અંતમાં એટલે કે 26 થી 29 તારીખ દરમિયાન ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
