અમિત શાહે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું લોકાર્પણ કર્યુ!
ગુજરાત પોલીસને અત્યાધુનિક બનાવવા તથા રાજ્યના નાગરિકોની સુરક્ષા-સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગર : ગુજરાત પોલીસને અત્યાધુનિક બનાવવા તથા રાજ્યના નાગરિકોની સુરક્ષા-સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારીત નવી પહેલ થકી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકીકરણ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલ્વે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતુ.
તેમણે ઉમેર્યું કે, ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામા ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ-કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફઆઇઆરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી.
અમિત શાહે વધુમાં કહ્યું કે, આજે સમગ્ર દેશના ૯૬ ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા છે. ઇન્ડિયન સાયબર કોઓર્ડીનેશન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે. આ તમામ અદ્યતન ટેકનોલોજી ભારત સરકારે ખરીદી છે. કોઈ રાજ્ય સરકારે આ ટેકનોલોજી અલગથી ખરીદવાની જરૂર નથી, માત્ર ભારત સરકાર પાસેથી એક્સટેન્શન લેવાની જરૂર છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, ગુજરાતની બે દાયકાની ઉજળી વિકાસયાત્રા પાછળ રાજ્યમાં પોલીસની સુસજ્જતા અને કાયદા-વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ જવાબદાર રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુને વધુ સુદૃઢ બને તે આશયથી ટેકનોલૉજીના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા હતાં તેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં સૌથી શ્રેષ્ઠ શાંત અને સલામત રાજ્ય બન્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, માત્ર ગુજરાતને જ નહિ, સમગ્ર દેશના નાગરિકોને ઇ-ગવર્નન્સ મારફતે મહત્વની સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહ્યો છે. આજે ગુજરાતના નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં ઘરે બેઠા e-FIR થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.












Click it and Unblock the Notifications
