અમિતશાહ અને વિજય રૂપાણીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
રાજકોટના એસટી ડેપોના મેનેજરને એક ઘમકી ભર્યો પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં રાજકોટ એસટી ડેપો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બોંબથી ઉડાવી દેવાની વાત લખી હતી. આ સમગ્ર પત્ર હિંદીમાં લખાયો છે. સુરેન્દ્રનગરના સાયલાના કોઈ ધીમંત નિમાવતના નામથી આ પત્ર મળ્યો હતો. પત્ર લખનારે પોતાને ઈન્ડિયન મુજાહિદ્દીનનો માણસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે મહત્વની વાત એ છે કે આ પત્રમાં તેણે ભાજપના અધ્યક્ષ અમિતશાહ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના ઘરને પણ બોંબથી ઉડાવી દેવાની ઘમકી આપી હતી.
આ પત્ર મળતા ડેપોના મેનેજરે ઉતાવળે પોલીસને સંપર્ક કર્યો હતો. ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો રાજકોટ ડેપોમાં આવી પહોચ્યો હતો. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર ડેપોનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જો કે કંઇ સંદેહાત્મક નહતું મળતા તંત્રએ શાંતિનો શ્વાસ લીધો હતો.
જો કે ધમકી ભરેલા આ પત્રને પોલિસતંત્રે ગંભીરતાથી લેતા આગળ તપાસ ધરી છે. આ પત્ર મોકલનાર કોણ છે? આ પત્રમાં લખાયેલી ધમકીઓની સત્યતા કેટલી છે? આ અંગે તપાસ ચાલી રહી છે. અગાઉ પણ આવા અનેક ધમકી ભર્યા પત્રો મળી આવ્યા હતા. ત્યારે હાલ તો અમિત શાહ અને વિજય રૂપાણીની સુરક્ષાની પણ સધન વ્યવસ્થા કરવામાં આવી છે.