ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી
આ ગૌરવ પુરસ્કારમાં રૂપિયા 51000ની રોકડ રકમ, શાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ 2012-13 માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે હેતુથી આવા સન્માનનીય, નામાંકિત અને સર્વમાન્ય કલાકારોની અરજીઓ/ભલામણો મેળવવા અરજીઓ મંગાવવામાં આવે છે. સન્માનને પાત્ર આવા કલાકારોએ (1) કલાકારનું નામ (2) સરનામું (3) ટેલિફોન/મોબાઇલ નંબર (4) ગૌરવ પુરસ્કાર માટેનું કલાનું ક્ષેત્ર (5) જે તે કલાક્ષેત્રમાં કરેલ પ્રદાન (6) આ પ્રદાનને સમર્થન આપતી વિગતો (7) ગૌરવ પુરસ્કાર આપવા સારૂં યોગ્ય જણાય તેવી અન્ય તમામ વિગતો (8) ભલામણ કરનાર દ્વારા દરખાસ્ત કરાતી હોય તો ભલામણ કરનારનું નામ, સરનામું જેવી વિગતો સાથે અનુક્રમ નંબર 1 થી 7માં જણાવેલ કલાકારની જરૂરી વિગતો સાથે ભલામણ કરનારશ્રી અને અરજદાર કલાકારશ્રીએ તેમની અરજી ગુજરાતીમાં સાદા કાગળ પર રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કે રૂબરૂ હાથોહાથ મળે તે રીતે તારીખ 27 જૂન, 2013 સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, બ્લોક નં.9, પ્રથમ માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ/ભલામણોને પસંદગી માટે વિચારણામાં લેવામાં આવશે નહિં.
આ પુરસ્કાર કોઇપણ ક્ષેત્રમાં જીવનપર્યંત એકવાર મળવાપાત્ર હોઇ આ અગાઉ જે કલાકારશ્રીઓને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે તેઓએ અરજી કરવાની રહેશે નહિં. ઉપરાંત આ અગાઉ વર્ષ 2011-12 માટે અરજી કરી હોય પરંતુ પસંદગી પામેલ ન હોય તેવા કલાકારો માટે પણ આ અખબારી જાહેરાતના આધારે નવેસરથી અરજી કરવાની રહેશે. પુરસ્કાર અંગેનો પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. તથા મળેલ અરજીઓ પરત કરવામાં આવશે નહિં. જેની નોંધ લેવા સચિવશ્રી, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.