સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે રાજ્યપાલ સાથે કરી શુભેચ્છા મુલાકાત
યુરોપીય મહાદ્વીપના દેશ સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપૂર્વા શ્રીવાસ્તવને શુભેચ્છાઓ આપતાં ભારત અને સ્લોવાકિયાની એકતા અને આર્થિક સમૃદ્ધિ વધે એવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વિકસિત દેશોમાં આજકાલ ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્નો વધુ ગંભીર દેખાઈ રહ્યા છે. વધારે પડતી ગરમી, વનોમાં આગના બનાવો અને જળ-વાયુ પરિવર્તનના પ્રશ્નો દેખાઈ રહ્યા છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. આ માટે વિશ્વના દેશોએ સૌએ પોતાની જવાબદારી સમજીને, સાથે મળીને મજબૂત કાર્યયોજના તૈયાર કરવી પડશે.

કોરોનાની વેક્સિન તો આપણે શોધી કાઢી, ગ્લોબલ વૉર્મિંગની કોઈ વેક્સિન નથી. એના ઉકેલ માટે તો વિચારો જ બદલવા પડશે. સામૂહિક વિકાસ માટે, વિશ્વમાં શાંતિ માટે વૈચારિક એકતા અને પરસ્પર પ્રેમ અનિવાર્ય છે.
એક અભ્યાસ અનુસાર ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી 24 ટકા જવાબદાર છે. પ્રાકૃતિક ખેતી સૃષ્ટિની અનેક સમસ્યાઓનું સમાધાન છે, એમ કહીને તેમણે સ્લોવાકિયાને પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રેરિત કરવા સૂચન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને સ્વલિખિત પુસ્તક 'પ્રાકૃતિક ખેતી' પણ આપ્યું હતું.
વર્ષ 2019 થી ટોરેન્ટો-કેનેડામાં ભારતીય મહાવાણિજ્યદૂત તરીકે કાર્યરત અપૂર્વા શ્રીવાસ્તવે સ્લોવાકિયાની આર્થિક-સામાજિક બાબતોની જાણકારી આપી હતી. 22 વર્ષની રાજનયીક કારકિર્દી દરમિયાન તેમણે પેરિસ અને કાઠમાંડૂમાં પણ ભારતીય દુતાવાસમાં સેવાઓ આપી છે.












Click it and Unblock the Notifications
