મુંબઇ માફિયાના નિશાના પર ગુજરાતી રાજકારણીઓ
રવિ પૂજારીના નામથી કોંગ્રેસના 4 ધારાસભ્યો મેરામણ ગોરિયા, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ અને સી.કે.રાઉલજીને ધમકીભર્યા ફોન આવ્યા હતા.
ગાંધીનગર વિધાનસભામાં ગૃહની કામગીરી શરૂ થતાં જ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા એ રવિ પુજારી નો મુદ્દો ગૃહમાં રજુ કર્યો હતો. ગૃહ અધ્યક્ષ રમણલાલ વોરાએ પ્રશ્નોત્તરી કાળ બાદ ખંડણી માંગવાના મુદ્દે ચર્ચા કરવાની મંજુરી આપી હતી.
રવિ પુજારીના નામથી કોંગ્રેસ ના 4 ધારાસભ્યોને તથા અન્ય કેટલાક મોટા માથાઓને ફોન કરી ખંડણી માંગવામાં આવી હોવાની વાત સામે આવી છે. જામ-ખંભાળીયાથી કોંગ્રેસના ધારાસભ્ય મેરામણ ગોરિયાને ખંડણીની ધમકી આપતો ફોન આવ્યો હતો અને ખંડણીની રકમ ન આપતાં હત્યાની ધમકી આપવામાં આવી હતી. માત્ર મેરામણ ગોરિયા જ નહીં, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ અને સી.કે.રાઉલજીને પણ રવિ પુજારીના નામથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોનું ગૃહમાં નિવેદન
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ અંગે ગૃહમાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, રવિ પૂજારાએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ગૃહમાં નિવેદન આપ્યું હતું. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું કહેવું છે, ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લઇ તે અંગે પગલા લેવાં જોઇએ.
નવસારીમાં પણ ભાજપના એક હોદ્દેદારને આ રીતની ધમકી આપવામાં આવી હતી, જે સંદર્ભે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આવા ધમકીભર્યા ફોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી આંતરાષ્ટ્રીય નંબરથી કરવામાં આવતા હોવાનું તારણ નીકળ્યું છે.
અહીં વાંચો - ધારાસભ્ય જેઠા ભરવાડને મળી જાનથી મારી નાખવાની ધમકી
રાજ્ય સરકાર કરી રહી છે સઘન તપાસ
આ મામલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સિઓના સંપર્કમાં છે. એટીએસ અને સીઆઈ.ડી ક્રાઈમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કોઈ ભેજાબાજનું ષડયંત્ર હોવાનું પોલીસનું પ્રાથમીક તારણ છે. આ તમામ ફેન મેસેજિસ કોમ્પ્યુટર જનરેટેડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્યની બે સુરક્ષા એજન્સિઓ ગુપ્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે, અન્ય બે રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. આગળની તપાસ માટે આ ધમકીભર્યા ફોનના વોઇસ સેમ્પલ લેવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસ પાસે હાલ રવિ પુજારીના વોઇસ સેમ્પલ છે, તેની સાથે આ વોઇસ સેમ્પલ મેચ કરવામાં આવશે.
પોલીસનું તારણ
હાલના તબક્કે આ પ્રકરણમાં રવિ પુજારીના નામે અન્ય કોઈ વ્યક્તિ ધમકી આપી રહ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. રવિ પુજારીના નામે કોઇ વ્યક્તિ ભય ફેલાવી લોકોને દબાવવાનો કે ઠગવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવી શંકા વ્યક્ત થઇ રહી છે. જો કે, આ પહેલાં, રવિ પુજારી ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધારી રહ્યો હોવાના સમાચાર પણ આવ્યા હતા. ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પ્રજ્ઞેશ પટેલની હત્યા પછી પોતાનો ભય યથાવત રાખવામાં રવિ પુજારી ઉપરા-છાપરી ધમકીઓ આપી રહ્યો છે.
રવિ પુજારી દ્વારા માત્ર રાજકારણીય નેતાઓને નહીં, પરંતુ ગુજરાતના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, હોટેલ માલિક સહિત કુલ 9 લોકોને ધમકી મળી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને નવસારીના મોટા માથાઓને ધમકી મળી છે.












Click it and Unblock the Notifications
