ગાંધીનગર, 7 માર્ચઃ ગુજરાતમાં વિકાસ થયો છે કે નહીં એ વાતની પોલ ખોલવા આવેલા દિલ્હીના એક્સ સીએમ અરવિંદ કેજરીવાલ આજે પોતાના 16 પ્રશ્નોના જવાબ માગવા માટે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમને મળવા માટેનો સમય ફાળવવામાં નહીં આવતા તેઓ અમદાવાદ પરત ફર્યા છે. અરવિંદ કેજરીવાલે સવારે અમદાવાદ ખાતે મીડિયા સાથે વાત કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં ગાંધીનગર સરહદે તેમને પોલીસ કર્મીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ કેજરીવાલના દૂત બની મનિષ સિસોદિયા, નરેન્દ્ર મોદીને મળવાની પરવાનગી માગવા ગયા હતા.
મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું છે કે, મોદી દ્વારા મળવાની પરવાનગી આપવામાં આવ્યા બાદ જ અરવિંદ કેજરીવાલને આગળ જવામાં આવશે. તો બીજી તરફ મનિષ સિસોદિયા મળવા માટેની મોદીની પરવાનગી લેવા ગયા છે. જ્યાં ગૃહપ્રધાન સચિવ એકે શર્માએ તેમને જણાવ્યું છે કે, પહેલા મોદીની પૂછવામાં આવશે અને જો તેઓ હા પાડશે તો જ મળવા માટેની પરવાનગી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ સચિવે જણાવ્યું કે તેમને મળવા માટે સમય આપવામાં આવ્યો નથી. જેથી અરવિંદ કેજરીવાલ ગાંધીનગર સરહદેથી જ પરત થયા હતા.
અરવિંદ કેજરીવાલ એરપોર્ટ તરફ રવાના
મોદીએ મળવાની ના પાડ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને તેમનો કાફલો અમદાવાદ એરપોર્ટ તરફ પરત ફર્યો છે. અત્રે એ વાત પણ રાજકીય વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી રહી છે કે મોદી દ્વારા મળવાનો સમય આપવામાં આવ્યો નથી, ત્યારે કેજરીવાલ હવે કેવા પ્રકારની રણનીતિને અમલી બનાવશે. આ વચ્ચે કેજરીવાલ જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમને કાળા વાવટા દર્શાવ્યા હતા અને કેજરીવાલ પરત જાઓના નારા લગાવ્યા હતા.
પત્રકારો સાથે કેજરીવાલની વાતચીત
અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં જે વિકાસની વાતો થઇ રહી છે, તેને લઇને અમે મોદીને મળવા જઇ રહ્યાં છીએ, અમે તેમને તેમના નિવાસ્થાને મળીશું. જો તેમની પાસે અત્યારે મળવાનો સમય નહીં હોય અને તેઓ અમને અન્ય કોઇ સમયે મળવા જણાવશે તો અમે તેમની સાથે તેઓ જે સમય જણાવશે, એ સમયે મુલાકાત કરવા તૈયાર છીએ.
મોદીને પૂછ્યા 16 પ્રશ્નો
કેજરીવાલે ગુજરાતમાં થયેલા વિકાસ અંગે કહ્યું છે કે, મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે, તે પોકળ વાતો છે. મોદીએ જે વિકાસના દાવા કર્યા છે એ બધા ખોટા છે. અહીં કૃષિદરમાં 2006ની સરખામણીએ 2012માં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તલાટીની ભરતીમાં લાંચ લેવામાં આવી રહી છે. ગેસના ભાવ ઘટશે કે નહીં સહિતના 16 પ્રશ્નો અંગે તેમની સાથે વાત કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
નોંધનીય છે કે, 5 માર્ચથી 8 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ મોદીએ જે વિકાસની વાતો કરી છે તે સાચી છે કે નહીં તે અંગે ચકાસણી કરવા આવ્યા છે. છેલ્લા બે દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાથી રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે.