સુરતમાં વિજય રૂપાણીના પોસ્ટર પર કાળી પોતાઇ
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
સુરતમાં વિજય રૂપાણીના પોસ્ટર પર કાળી પોતાઇ
સુરતમાં નાના વરાછા ખાતે મનપા દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે પોસ્ટર પર નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. પણ આજે વહેલી સવારે આ પોસ્ટર પરના રૂપાણીના ફોટો કોઇએ કાળો રંગ લગાવી દેતા તંત્ર આ ધટના બાદ હરકતમાં આવ્યું હતું.
અમદાવાદના ગાડી ચાલકનું ભરૂચમાં બાઇકે હડફેટે લેતા મોત
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય દિનેશભાઇ આત્મારામભાઈ પટેલ ટવેરા ગાડી ભાડે ચલાવે છે પોતાન કામ અર્થે ડેડિયા પાડા આવ્યા હતા ત્યારે અમદાવાદ પરત થતા પહેલા નેત્રંગ પાસે ખાવા માટે નીચે ઉતરેલા દિનેશભાઇને બાઇક સવારે તે જમીન પર પટકાતા જ તેમનું મોત થયુ હતું. જોકે બાઇલ ચાલક નાસી છૂટ્યો હતો. બજાજ પલ્સર GJ-16-BA-9064 ચલાવનાર આ બાઇક ચાલકની શોધ હાલ પોલિસ કરી રહી છે.
જામનગરમાં ફાયરિંગ કરી 6 લાખની લૂંટ
જામનગર ખાતે ત્રણ બાઇક સવાર લૂંટારાઓએ ફાયરિંગ કરીને ખેડૂત પુરૂષોત્તમ ભાઈ કોઠિયા પાસેથી 6 લાખની મત્તા લૂંટી લીધી હતી. પુરૂષોત્તમ ભાઈ જ્યારે સત્યા સાંઈ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લૂંટારાઓએ તેમને આંતર્યા હતા જોકે પુરૂષોત્તમભાઈ રોકાયા ન હતા તેથી લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ સહિતનો સમગ્ર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટારાઓએ છોડેલી ગોળી પુરૂષોત્તમભાઈના સાથળમાં વાગી હતી. પોલીસે હાલ સમગ્ર વિગતો નોંધીને લૂંટારાઓને ઝડપવા કામગીરી આગળ વધારી છે.
પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો આપધાત
વડોદરાના વાધોડિયામાં આવેલ પારૂલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણના કારણે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ છે. અંકિત શાહ નામના વિદ્યાર્થીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે તે એક યુવતી પ્રેમ કરે છે પણ પરિણામમાં ફેલ થતા તેણે આ પગલું લીધુ છે.